• મહેસાણા, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગરને કાલે ઉમેદવારો મળશે

  • પાટિલે બનાસકાંઠા અને વલસાડના MLA સાથે બેઠક યોજી મામલો થાળે પાડયો
  • દિલ્હીથી નામોની જાહેરાતની શક્યતા વ્યક્ત થઈ રહી છે

ગુજરાતમાં 26માંથી 22 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા બાદ બાકી રહેલા ચાર મતક્ષેત્રો માટે ગુરૂવાર કે શુક્રવાર સુધીમાં દિલ્હીથી નામોની જાહેરાતની શક્યતા વ્યક્ત થઈ રહી છે. દરમિયાન વડોદરામાં સાંસદ રંજનબહેન ભટ્ટ સામે ફાટી નીકળેલા પોસ્ટર વોર, તેવી જ રીતે સાબરકાંઠામાં ઉમેદવાર ભીખાજી દુધાજી ઠાકોર કે ડામોરના ચીઠ્ઠી વિવાદને પગલે ભાજપમાં આ બંને લોકસભા મતક્ષેત્રો માટે હવે ચહેરા બદલવા જોરશોરથી માંગણીઓ ઉઠી રહી છે. અલબત્ત, આ બંને બેઠકો માટે હાઈકમાન્ડને નિર્ણય કરે તે પહેલા પ્રદેશ ભાજપના મોવડી મંડળે ઉમદેવારો મુદ્દે શરૂ થયેલા કચવાટને ઠારવા બેઠકોનો દોર આરંભી ડેમેજ કંટ્રોલની કવાયત આરંભ્યાનું જાણવા મળ્યુ છે.

ભાજપ માટે બનાસકાંઠા લોકસભા બેઠક નબળી ગણાતી ચાર પૈકીની એક છે. જ્યાં સૌથી પહેલા યુવાન પ્રોફેસર મહિલા રેખાબહેન ચૌધરીનું નામ જાહેર થયા બાદ સ્થાનિક સ્તરેથી આવી રહેલા નકારાત્મક વલણને ઠરાવા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલે બનાસકાંઠા જિલ્લાના તમામ ધારાસભ્યો અને આગેવાનો સાથે પોતાના નિવાસસ્થાને બેઠક યોજીને સૌને કામે વળગવા અને વિધાનસભા ચૂંટણી કરતા પણ ભાજપને વધારે લીડ અપાવવા સુચનાઓ આપી હતી. તેવી જ રીતે વલસાડમાં પણ યુવા ચહેરા તરીકે ધવલ પટેલના નામની જાહેરાત થયા બાદ પાટિલે સુરત અને ગાંધીનગર એમ બંને સ્થળે ધારાસભ્યો, આગેવાનો અને સાંસદની સાથે મેરોથન મિટિંગ કર્યાનું જાણવા મળ્યુ છે. ભાજપના આંતરિક વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચાઓ મુજબ સોમવારે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામાનું ત્રાગુ કર્યા બાદ વડોદરામાં સાંસદ રંજન ભટ્ટના રિપિટેશન સામે પોસ્ટર વોર ફાટી નીકળ્યુ છે.


  • Follow us on: