- કાળઝાળ ગરમીમાં વારંવાર વીજળી ગુલ થવાથી હાલાકી
- ખેતીવાડી માટે વીજળી આઠ કલાકને બદલે માત્ર ચાર જ કલાક મળે છે
- સોનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વિજ ધાંધીયા ચાલી રહ્યાં છે
સોનગઢ તાલુકામાં વીજ લાઈનો, ટ્રાન્સફોર્મર, ડીપી વગેરના મેઇન્ટેનન્સમાં ચાલતી ઘોર લાલીયાવાડીના કારણે રહેણાંકના ઘરો તેમજ ખેતીવાડી માટેની વીજળી છાશવારે ખોટકાતી રહેતી હોવાથી હાલની કાગઝાળ ગરમીમાં વીજળી વગર લોકો તોબા પોકારી ઊઠ્યા છે.
સોનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વિજ ધાંધીયા ચાલી રહ્યાં છે. જ્યોતિગ્રામ યોજના અંતર્ગત રહેણાંકના ઘરોમાં લોકોને 24 કલાક વીજળી મળતી નથી. ઘરોમાં ગમે ત્યારે વીજળી ડુલ થઈ જાય છે. જે લાંબા સમય સુધી આવતી નથી. હાલના ઉનાળાની કાગઝાળ ગરમીમાં ઘરોમાં અવારનવાર પાવર કટ થઈ જવાથી લોકો ત્રાહીમામ પોકારી ઊઠ્યા છે. વીજ કંપનીની કચેરીને પાવર કટ થયાની જાણકારી અપાયા પછી પણ કલાકો સુધી વીજળીના દર્શન થતા ન હોવાથી લોકોમાં વીજ કંપનીના કર્મચારીઓ અને અધિકારીઓ સામે ભારે રોષ પ્રર્વતી રહ્યો છે. ઘરમાં વીજ ધાંધીયાની સાથે ગામડાઓમાં ખેતીવાડીની વીજળીના પણ ઠેકાણા હોતા નથી. આ વીજળી 24 કલાકમાંથી માત્ર 8 કલાક જ આપવામાં આવે છે. વિજ કંપનીના ચોપડે 8 કલાક વીજળી આપવાની યોજના બોલે છે. પરંતુ ખરેખરમાં સોનગઢના ગામડાના ખેતરમાં આ 8 કલાક યોજના વાળી વીજળીના પણ ભાગ્યે જ દર્શન થાય છે. ગામડાઓમાં 8 કલાકને બદલે માંડ 4 કલાક જ વીજળી મળે છે.અને તે પણ અઠવાડિયામાં બે-ત્રણ દિવસ જ વીજળી આવે છે.આમ ખેતીવાડીની વીજળીની ભારે અનિયમિતતાના કારણે ખેડૂતો બોર-કુવામાંથી સિંચાઈ કરી શકતા નથી. વળી ખેતીવાડી માટે રાત્રે વિજળી આપવામાં આવે છે. તેનાથી કંટાળીને ઘણા ખેડૂતોએ ખેતી કરવાનું બંધ કરી દીધું છે.વીજળીની સમસ્યાના કારણે સોનગઢના ગ્રામ્ય વિસ્તારના લોકો કફોડી સ્થિતિમાં આવી ગયા છે.










