• 27 હીરા ઉધ્યોગકારોના બેંક ખાતા થયા સીઝ

  • પોલીસ કમિશનરે ઉદ્યોગકારોને આશ્વાસન આપ્યુ
  • કેરળ અને તેલંગાણા ક્રાઇમ બ્રાન્ચે સીઝ કર્યા

સુરત શહેરના 27 હીરા ઉદ્યોગકારોના બેંક ખાતા કેરળ અને તેલંગાણા ક્રાઇમ બાંચ દ્વારા અચાનક સીઝ કરી દેવાની ઘટનામાં ઉદ્યોગકારોએ પોલીસ કમિશનરને મળીને રજૂઆત કરી હતી. પોલીસ કમિશનરે ઉદ્યોગકારોને મદદ કરવા માટેની ખાતરી આપી હતી.

હીરા ઉદ્યોગના સુત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ છેલ્લા એક મહીનાથી શહેરના 27 જેટલા હીરા ઉદ્યોગકારોના 40 જેટલા બેંક ખાતાઓ કેરળ અને તેલંગાણા રાજયની ક્રાઇમબ્રાંચ પોલીસ દ્વારા સીઝ કરવામાં આવ્યા છે. હીરા ઉદ્યોગકારોને આ અંગે બેંકો દ્વારા પત્ર મોકલીને જાણ કરવામાં આવી હતી.હીરા ઉદ્યોગકારોનું કહેવુ હતું કે તેમને પણ ચોક્કસ માહિતી નથી કે તેમના ખાતાઓ કેમ સીઝ કરવામાં આવ્યા છે.

જોકે, થોડા સમય પહેલા અગાઉ પણ એક વાર હીરા ઉદ્યોગકારનું ખાતુ સાઇબર ક્રાઇમની તપાસ માટે સીઝ કરવામાં આવ્યુ હતુ. તેથી તેઓનું અનુમાન છે કે આ 27 ખાતાઓ પણ સાઇબર ક્રાઇમના સંદર્ભે જ જપ્ત કરવામાં આવ્યા છે. એક મહીનાથી ખાતા બંધ હોવાથી તેમના આર્થિક વ્યવહારો અટવાઇ ગયા છે. આ અંગે હીરા ઉદ્યોગકારો દ્વારા ગુરુવારે પોલીસ કમિશનર અજય તોમરને રજૂઆત કરવામા આવી હતી તેમણે ઉદ્યોગકારોની રજૂઆતો સાંભળી હતી અને તમામ વિગતો મેળવ્યા બાદ તેમને તમામ મદદ કરવા માટેનુ આશ્વાસન આપ્યુ હતું.


  • Follow us on: