વડાપ્રધાન અને ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ, ગુજરાત રાજયના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વર્ષ-૨૦૦૧ થી વર્ષ-૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં નાગરિકોને જોડી ઓકટોબર-૨૦૨૪ની તા. ૦૭ થી તા.૧૫ દરમિયાન "વિકાસ સપ્તાહ" ઉજવણીનું આયોજન રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ કરાયું છે.


બનાસકાંઠાની ધરતી પર લાવવાનું ભગીરથ કામ

બનાસકાંઠા સરહદી જિલ્લો કે જ્યા એક બાજુ પહાડી વિસ્તાર તો બીજી બાજુ રણ પ્રદેશ વિસ્તાર આવેલો છે. ભૌગોલિક વિષમતાઓ ધરાવતા આ જિલ્લામાં વરસાદના અભાવે દિન પ્રતિદિન પાણીના સ્તર નીચે જવા લાગ્યા હતા. જિલ્લામાં લોકો પશુપાલન અને ખેતી સાથે વધુ સંકળાયેલા છે. વર્ષોથી પાણીની સમસ્યાઓ સામે ઝઝૂમતા ખેડૂતો અને પશુપાલકો માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ચિંતા કરીને નર્મદાના નીરને બનાસકાંઠાની ધરતી પર લાવવાનું ભગીરથ કામ કર્યું છે.

બનાસકાંઠા જિલ્લામાં નહેરોના સ્ટ્રક્ચરનો વિકાસ

સરકાર દ્વારા સિંચાઇ,પાણી પુરવઠા, સુજલામ સુફલામ્ સહિત અનેક યોજનાઓના સમન્વયથી બનાસકાંઠા જિલ્લામાં નહેરોના સ્ટ્રક્ચરનો વિકાસ કરાયો અને આજે પરિસ્થિતિ કંઇક અલગ જ છે. એક સમયે જ્યા પાણીના સ્તર સતત ઘટી રહ્યા હતા તે પાણીદાર વિસ્તાર બન્યો છે અને આ શ્રેય ફક્ત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત સરકારને જાય છે. સરકારશ્રીએ નર્મદાની મુખ્ય કેનાલ મારફત બનાસ નદી, દાંતીવાડા ડેમ, બનાસકાંઠાના વિવિધ તળાવ, સુજલામ સુફલામ તેમજ શાખા નહેરો તરફ વાળીને પાણીની સમસ્યાનો નિકાલ લાવવા પ્રયત્નો કર્યા છે.

કેનાલોની બાંધકામની કામગીરી

જેમાં થરાદ નહેર વર્તુળ હેઠળ જિલ્લામાં વેજપુર શાખા, માડકા શાખા, માલસણ શાખા, ઢીમા શાખા અને ગડસીસર શાખા નહેરો તથા તેની વિશાખા, પ્રશાખા અને પ્રપ્રશાખા નહેરોનો સમાવેશ કરાયો છે. કુલ પાંચ શાખા નહેરોનો મળી ૧,૨૯,૮૩૦ હેકટર પિયત વિસ્તારમાં વાવ, થરાદ, સુઈગામ , ભાભર અને દિયોદર તાલુકાઓનો સમાવેશ થાય છે. કુલ ૧,૨૯,૮૩૦ હેકટર વિસ્તારમાંથી માઈનોર (પ્રશાખા) લેવલ સુધી ૧,૨૯,૮૩૦ હેકટર લાભિત વિસ્તારમાં બાંધકામની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જેમાં વર્ષ ૨૦૧૮-૧૯માં માઈનોર કેનાલોની બાંધકામની કામગીરી પણ પૂર્ણ કરાઈ છે.

ખેડૂતોની હર હંમેશા ચિંતા કરી

જિલ્લાના વાવ, થરાદ, સુઈગામ, ભાભર અને દિયોદર જેવા તાલુકાઓમાં એક સમયે ખેડૂતોએ સિંચાઇ માટે ૧૦૦૦ ફૂટથી વધારે અંતરેથી પાણીને બહાર નીકાળવું પડતું હતું તે જ વિસ્તારોમાં આજે પાણી ૩૦ થી ૪૦ ફૂટ પર મળી રહે છે. પાણીના સ્તર ઉપર આવ્યા છે. સુકા પ્રદેશને હરિયાળો બનાવવા વડાપ્રધાનશ્રીએ અનેક યોજનાઓ અમલી બનાવી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની હર હંમેશા ચિંતા કરી છે.

ખેડૂતોમાં ખુશીનો માહોલ

આ અંગે થરાદ તાલુકાના નાગલા ગામના પટેલ અણદાભાઈ જણાવે છે કે, છેલ્લા ૨૩ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં બનાસકાંઠા જિલ્લામાં હરિયાળી ક્રાંતિ ફેલાઈ છે. જેમના ઘરે ક્યારેક સાઇકલ પણ નહોતી તેઓએ આજે ગાડીઓ વસાવી છે. આજે જીરું, રાયડો, એરંડાની ખેતીથી અમો સમૃદ્ધ બન્યા છીએ. વડાપ્રધાનશ્રી હજુ પણ દેશની પ્રગતિ કરીને દેશના વિકાસમાં યોગદાન આપે તેવી તેઓ લાગણી અનુભવે છે.થરાદ તાલુકાના મલુપુર ગામના ખેડૂત કમાભાઈ જણાવે છે કે, અમારા વાવ અને થરાદ તાલુકાને લોકો પછાત તાલુકા તરીકે ગણતા હતા કેમ કે, અહીં દુષ્કાળ, પાણી અને વીજળીનો પ્રશ્ન સૌથી વધારે હતો. લોકોને અહી તકલીફો પડી રહી હતી પરંતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૩ વર્ષના નેતૃત્વમાં આ વિસ્તારમાં વીજળી, નર્મદાના નીર, રોડ-રસ્તાઓ, શાળાઓ અને શિક્ષણ તથા ખેડૂતોનો સર્વાંગી વિકાસ થયો છે. આજે અમારા વાવ અને થરાદ તાલુકો પ્રગતિશીલ બન્યા છે જેનો શ્રેય ફકત વડાપ્રધાન મોદીને જાય છે.

 

  • Follow us on: