ભારતના ચૂંટણી પંચ દ્વારા ગત 6, જાન્યુઆરી-2025ના રોજ જાહેર કરાયેલી આખરી મતદાર યાદી સામે રાજ્યમાંથી એક પણ અપીલ મળી નથી.
બીજીતરફ એક જ વ્યક્તિના બે નામ હોય, શિફ્ટિંગ, લગ્ન સહિત અન્ય કારણોસર ડુપ્લિકેટ ચૂંટણી કાર્ડમાં નામ બોલતા હોય તેવા અમદાવાદમાં 16 હજારથી વધુ ડુપ્લિકેટ ચૂંટણી કાર્ડને ડિલીટ માટેની મોટાભાગની કાર્યવાહી પૂરી થઇ ગઇ છે. રાજ્ય બહાર હોય તેવા ડુપ્લિકેટ ચૂંટણી કાર્ડ માટે તપાસ સહિતની કામગીરી ચાલી રહી છે. પ્રસિદ્વ મતદાર યાદીમાં ગુજરાતમાં 5.03 કરોડ સહિત દેશમાં 99.22 કરોડ મતદારો નોંધાયા છે.
ચૂંટણી પંચ દ્વારા સમયાંતરે મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમો યોજાય છે. જેમાં બુથ લેવલ ઓફિસર્સ અને મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા પૂરતી તપાસ બાદ લોકપ્રતિનિધિત્વ ધારો-1951ની કલમ 22 અને કલમ 23 મુજબ મતદાર યાદીમાં નામ ઉમેરવા તથા કમી કરવા સહિતની કામગીરી હાથધરાય છે. ગુજરાતમાં મતદાર યાદીની પ્રસિદ્વિ પૂર્વે નામ ઉમેરવા અને નામ કમી કરવા સહિતના અનેક સુધારાઓ સામે એક પણ અપીલ આવી નથી. જ્યારે દેશમાંથી પ્રથમ અપીલમાં 89 અને બીજી અપીલમાં એક અપીલ આવી હતી. બીજીતરફ મતદાર યાદી તૈયાર કરવાની પ્રક્રિયામાં બુથ લેવલ એજન્ટ્સ 50,787 સહિત દેશમાં 10,49,236 અને બુથ લેવલ એજન્ટ રાજ્યમાં 41,488 સહિત દેશમાં 13,87,359 એજન્ટનો સમાવેશ થાય છે. રાજ્યમાં પણ મોટી સંખ્યામાં ડુપ્લિકેટ ચૂંટણી કાર્ડ હતાં. જેમાં એક સ્થળેથી નામ દૂર કરવાની કાર્યવાહી લગભગ પૂરી થઇ ગઇ છે. રાજ્ય બહારના કિસ્સામાં સ્થળ તપાસના રિપોર્ટ બાદ નામ ડિલીટનો નિર્ણય કરાશે.