સુરેન્દ્રનગરના દસાડા નજીક PSI સાથે અકસ્માત સર્જાયો હતો. પીએસઆઈ દારૂની હેરાફેરીની બાતમી બાદ વોચમાં હતા. તેઓને ક્રેટા કારમાં દારૂ નીકળવાની માહિતી મળી હતી. રોડ બ્લોક કરીને ઉભેલા PSI પર ટ્રક ફરી વળ્યો હતો. આ અકસ્માતમાં PSI જે.એમ.પઠાણનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગે SMCના IG નિર્લિપ્ત રાયે તપાસના આદેશ આપ્યા છે.
ગઈકાલે મોડી રાતે બાતમીના આધારે બુટલેગરોને રંગેહાથે દારુ ભરેલી કાર સાથે ઝડપવાની કામગીરી વખતે SMCના PSI જાહીદખાન પઠાણનું ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં મોત થયું છે. જે બાદ તેમના પરિવાર અને પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પોલીસે બુટલેગરો સામે ગુનો નોંધીને ધરપકડ કરવા તપાસ હાથ ધરી છે. ત્યારે મૃતક PSI મિત્ર PSI મુનાફ બીમોટાએ જાહીદખાન પઠાણ વિશે કેટલીક વાત અમારી સાથે શેર કરી હતી.
પરિવારમાં પિતા, કાકા અને ભાઈઓ પોલીસમાં છે
PSI મુનાફ બીમાટાએ જણાવ્યું કે, PSI જાહીદખાન પઠાણ મહેસાણાના સરદારપુરના હતાં. તેમના પરિવારમાં એક દીકરી અને દીકરો છે. તેમની દીકરી છઠ્ઠા ધોરણમાં અને દીકરો બીજા ધોરણમાં ભણે છે. તેમના પિતા પણ નિવૃત્ત પોલીસ કોનસ્ટેબલ છે. તેમના કાકા નિવૃત્ત PSI છે. તેમના ભાઈ અને કાકાના દીકરા પણ પોલીસમાં કામગીરી કરે છે. જાહીદ ખાન પઠાણની ભરતી વર્ષ 2001માં કેન્સ્ટેબલ તરીકે થઈ હતી. તેમનું પહેલું પોસ્ટિંગ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં થયું હતું. આ પછી કેટલાક વર્ષ બાદ તેમનું હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન થયું હતું.
એક વર્ષમાં બેવાર PSI જાહીદખાન પર બુટલેગરોએ હુમલો
PSI મુનાફ બીમાટાએ વધુમાં જણાવ્યું કે, વર્ષ 2022માં તેમણે PSIની પરીક્ષા પાસ કરી હતી અને તેઓ PSI તરીકે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. આ પછી તેમણે ક્રાઈમ બ્રાન્ચમાં પણ કામગીરી કરી હતી. છેલ્લાં એક વર્ષથી તેમની કામગીરી સરખેજ પોલીસ સ્ટેશનમાં હતી પણ, તેઓ SMCમાં તહેનાત હતા. આ અગાઉ પણ બુટલેગરને પકડવા જતી વખતે તેમના પર હુમલા થયા હતા. જેમાં તેમને પગમાં અને હાથમાં ઈજા થઈ હતી. જાહીદભાઈ હસમુખા સ્વભાવના હતા. ક્યારેય કોઈની પીઠ પાછળ વાત કરતા નહોતા. તેઓ કોન્સ્ટેબલ હતા ત્યારથી એક વાત કહેતા હતા કે મારે PSI બનવું છે. અંતે તે વર્ષ 2022માં PSI બની ગયા અને થોડાક વર્ષમાં તેઓનું ફરજ દરમિયાન મોત થયું છે.
ગુજરાતમાં બુટલેગરો બેખૌફ!
ગુજરાતમાં દારૂના હેરફેર અને બુટલેગરના નેટવર્કને કોઈ પણ રોકી શક્યું નથી. બીજી તરફ પોલીસ બુટલેગરને પકડે છતાં તેનું નેટવર્ક રોકી શકાતું નથી અથવા કોઈ પોલીસ તેને નજર અંદાજ કરે તેવું અવારનવાર બને છે. ગુજરાતમાં દારૂબંધી છે, છતાં દર વર્ષે કરોડો રૂપિયાનો ગેરકાયદેસર દારૂ પકડાય છે. દર વર્ષે વિધાનસભા સત્રમાં પણ દારૂની હેરાફેરીને લઈને વિપક્ષ પ્રશ્ન ઉઠાવતી હોય છે. તેની સામે સરકાર જવાબ પણ રજૂ કરે છે. ગુજરાતમાં દારૂ લાવવામાં આવે છે, દારૂ પીવાય પણ છે. દારૂબંધી હોવા છતાં અને સરહદ પર આટલી પાબંદી અને ચેકીંગ હોવા છતાં કેવી રીતે દારૂ ગુજરાતમાં પહોંચાડવામાં આવે છે. ગુજરાત અને ગુજરાત બહારના રાજ્યમાં કઈ ગેંગ સક્રિય છે, જે ગુજરાતમાં કરોડોનો દારૂ પહોંચાડે છે. આ ગેગની મોડ્સ ઓપરેન્ડી શુ છે. ક્યાં ક્યાં પેંતરાં અપનાવી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવે છે એ પણ રસપ્રદ છે.
ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ ક્યાં રાજ્યમાંથી આવે છે?
ગુજરાત રાજ્ય રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દીવ, દમણ, સાથે સરહદ જોડાયેલી છે. ગુજરાતના સરહદી રાજ્યમાં દારૂના વેચાણની પરવાનગી છે. ગુજરાતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દીવ અને દમણની સરહદમાંથી દારૂ ઘુસાડવામાં આવે છે. ગુજરાતમાં મોટે ભાગે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ગોવા અને મધ્યપ્રદેશની બનાવટનો દારૂની હેરાફેરી કરવામાં આવે છે. મધ્યપ્રદેશનો દારૂ સસ્તો હોવાથી વધારે હેરાફેરી થાય છે. તેવી રીતે ગોવા, દીવ અને દમણ અને હરિયાણા દારૂ સસ્તો હોવાથી બૂટલેગરો આ દારૂની હેરાફેરી વધારે પ્રમાણમાં કરે છે.
ગુજરાતમાં દારૂની હેરાફેરી કરનાર મુખ્ય સૂત્રધારો
ગુજરાતમાં દારૂ હેરાફેરી માટે અલગ અલગ રાજ્યમાં અલગ અલગ ગેંગ સક્રિય છે. રાજસ્થામાંથી ગુજરાતમાં દારૂ હેરાફેરી કરવામાં મોટી ગેંગ બીશ્નોઈ ગેંગ છે. જે બનસકાંઠા થઈને ગુજરાતમાં દારૂની હેરાફેરી કરે છે. બનસકાંઠામાં બીશ્નોઈ, આશુ અગ્રવાલ, અને રબારી ગેંગના બૂટલેગરો દારૂની હેરાફેરી કરે છે. તેવી રીતે સાબરકાંઠામાં ભરત ડાંગી, આશિષ કોઠારી, શકાજી, અને સુનિલ દરજી મુખ્ય બૂટલેગરો હતા. જે ગુજરાતમાં દારૂની પહોંચાડતા હતા. અરવલ્લી બોર્ડરથી પંચોલી ગેંગના સભ્ય દારૂની હેરાફેરી કરતા હતા.
વર્ષ 2023માં કેટલી કિંમતનો દારૂ પકડાયો
મહિનો કુલ મુદ્દામાલ
- જાન્યુઆરી : 35,09,505
- ફેબ્રુઆરી : 38,33,877
- માર્ચ : 64,58,440
- એપ્રિલ : 31,80,823
- મે : 15,82,052
- જૂન : 34,31,890
- જુલાઈ : 47,69,650
- ઓગસ્ટ : 34,85,330
- સપ્ટેમ્બર : 20,53,210
- ઓક્ટોબર : 3,67,990
- નવેમ્બર : 18,59,285
- ડિસેમ્બર : 7,54,170
- કુલ 3,52,86,222
ખાનગી સુત્રો દ્વારા માહિતી મુજબ, અંદાજીત વર્ષ 2024માં કુલ 26 ,11,71, 820થી વધુ કેસ નોંધાયા છે. દારૂની હેરાફેરીમાં ક્યાં વાહનોનો ઉપયોગ થાય છે
બૂટલેગરો દારૂની હેરાફેરી માટે ચોરીના વાહનો અથવા જે વાહનમાં દારૂ હેરાફેરી કરવાની છે. તેનો તમામ આઇડેન્ટીટી એટલે કે ચેચીસ નંબર બદલી નાખે છે અને ત્યાર બાદ તે વાહનમાં દારૂની હેરાફેરી કરે છે. જે દારૂ ટ્રકમાં ઘુસાડવામાં આવે છે. તેમાં ટ્રકમાં જીવન જરૂરિયાત સમાનન બતાવી ખોટા જીએસટી બીલ બનાવી તેમાં દારૂની હેરાફેરી કરવામાં આવે છે.









