- શિષ્ટાચાર બનેલા ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં અનેક વહીવટી અડચણો
- ACBમાં ડાયરેક્ટ ભરતીથી અધિકારી અને કર્મચારી મૂકવા હિતાવહ
- કાર્યવાહી માટે મંજૂરી ના મળી હોય તેવા અનેક દાખલા બન્યા
ભ્રષ્ટાચારને ડામવાના મિશન અંગે લોકોને જાણકારી મળે અને તેઓ જાગૃત થાય તે હેતુસર દર વર્ષે વિશ્વના તમામ દેશો 9, ડીસેમ્બરના રોજ ઈન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે મનાવે છે . જો કે, રાજ્યમાં ભ્રષ્ટાચાર સામેની લડતનો આ હેતુ કેટલીક અડચણોને કારણે પુરેપુરો સિધ્ધ થતો નથી. રાજ્યમાં આવતી અડચણોમાં મોટો પ્રશ્ન એ છે કે, એસીબી (એન્ટી કરપ્શન બ્યૂરો)ની ટ્રેપમાં લાંચ લેનાર પકડાય પણ આપનાર પકડાતા નથી. એસીબીમાં લાંચ આપનાર એક ટકો પણ પકડાયા ન હોવાનો ઘટસ્ફોટ થયો છે. અમુક જીલ્લા અને શહેરમાં આવા કેસનો આંકડો શૂન્ય પર છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા આઈપીએસ અધિકારીઓ અને પોલીસ વિભાગને એસીબીની કમાન સોંપવામાં આવી હોવાના મુદ્દે પણ અનેક સવાલો ઉપસ્થિત થાય છે. એસીબીના કેસોમાં છેલ્લા બે વર્ષમાં ઘટાડો આવ્યો હોવાથી ભ્રષ્ટાચાર સામેના મિશનની ગતી ધીમી પડી હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે. જાણકારોના મતે રાજ્ય સરકારે એસીબીમાં અધિકારીઓ અને કર્મચારીઓને અલગથી ભરતી કરીને મુકે તો ભ્રષ્ટાચાર સામેની લડતને વેગ મળી શકે તેમ છે.
ઈન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે નિમિતે આજે રાજ્યમાં ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં આવતી અડચણોને દૂર કરવા માટે રાજ્ય સરકાર કોઈ એક્શન પ્લાન બનાવે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. જાણકારોના મતે એસીબીની કમાન આઈપીએસ અને પોલીસ અધિકારીઓને સોંપવાને કારણે અમુક કેસમાં વ્હાલા દવલાની નિતિ ચાલતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. એસીબીના મોટા ભાગના કેસમાં નાના વર્ગના પીએસઆઈ, એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, એલઆરડી કે ટ્રાફિક બ્રિગેડનના જવાનો લાંચના છટકામાં આવે છે. જ્યારે મોટા અધિકારીઓ પકડાયા હોય તેવા કેસ બહુ જ જૂજ થાય છે. બીજી તરફ 2020માં ભ્રષ્ટાચારના 199 કેસો થયા બાદમાં 2021માં 173 અને 2022માં 176 કેસ જ થયા હતા. આમ, લાંચ આપનાર તો હાથમાં આવ્યા જ નહી પણ લાંચ લેનાર પણ ઓછા પકડાયા હતા.










