રાજકોટમાં ધનતેરસને દિવસે સોની બજારમાં GSTના દરોડા. સોની બજારમાં સોનાના હોલસેલ વેપારી જે.કે. અને આર.કે. સહીત ત્રણ પેઢી પર GST ના દરોડા. ધનતેરસના દિવસે GST વિભાગ દ્વારા કાર્યવાહીથી વેપારીઓમાં કચવાટ.
આજે ધનતેરસનો તહેવાર હોઈ લોકો આજે સોના-ચાંદીની ખરીદી કરવાનું મહત્ત્વ હોય છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ધનતેરસનાં તહેવારને લઈ સોના-ચાંદીની દુકાનમાં લોકો ખરીદી કરવા ઉમટ્યા છે. ત્યારે રાજકોટમાં સોની બજારમાં જીએસટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સોની બજારમાં સોનાનાં હોલસેલનાં વેપારીઓને ત્યાં જીએસટીનાં દરોડા પડતા અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
આ વેપારીઓને ત્યાં દરોડા પડ્યા
રાજકોટનાં સોની બજારમાં જે.કે. અને આર.કે. સહિત ત્રણ પેઢી પર જીએસટીનાં દરોડા પડ્યા હતા. ધનતેરસનાં દિવસે જીએસટી વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતા વેપારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી.
સુરતમાં આઠ જગ્યાએ GST વિભાગનું સર્ચ
સુરત શહેરની અંદર ખુબ મોટા અને જાણીતા જ્વેલેરીના વેપારીઓ છે. ગુરૂપુષ્ય નક્ષત્ર અને ધનતેરસ વખતે ખુબ સારા પ્રમાણમાં દાગીનાનું વેચાણ થતું હોય છે, ત્યારે સુરતમાં લોકો લગ્નસરાને ધ્યાનમાં રાખીને શુભ મુહૂર્તમાં આભૂષણો ખરીદી લેતા હોય છે. આ વખતે પણ એ જ પ્રકારે તેજીનો માહોલ સુરત શહેરમાં જોવા મળ્યો હતો. જોકે, GST વિભાગના દરોડા પડતા સામે દિવાળીએ દોડધામ મચી છે.
જ્વેલર્સને ત્યાં GSTના દરોડા
સુરતમાં આઠથી વધુ જ્વેલર્સને ત્યાં GST વિભાગના દરોડાના સમાચાર સમગ્ર શહેરમાં વાયુવેગે ફેલાઈ ગયા હતા. જેના કારણે મોટા મોટા જ્વેલેરી શોરૂમના માલિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. મળતી માહિતી મુજબ સુરતના કલામંદિર જ્વેલર્સ, બિશન દયાળ જ્વેલર્સ, પચ્ચીગર જ્વેલર્સ, દાગીના જ્વેલર્સ, ગહેના જ્વેલર્સ, નાકરાણી જ્વેલર્સ અને મહાવીર જ્વેલર્સ સહિત આઠથી વધુ જ્વેલર્સના ત્યાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. હાલ અધિકારીઓની ટીમ દ્વારા તમામ સ્ટાફ મેમ્બર્સ તેમજ મુકાયેલા તમામ દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી રહી છે.
બેનામી વ્યવહાર મળી આવવાની શક્યતા
ધનતેરસે મોટા પ્રમાણમાં લોકો સોનાની ખરીદી કરતા હોય છે, તેવા સમયે GST વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. સ્ટેટ જીએસટીના દરોડાને પગલે જ્વેલર્સમાં ભારે હલચલ જોવા મળી છે. સ્ટેટ જીએસટી સૂત્રોના જણાવ્યા અનુસાર મોટા પ્રમાણમાં જીએસટી ચોરી મળી આવવાની શક્યતા છે. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને દસ્તાવેજોની તપાસણી શરૂ કરી દેવામાં આવી છે. જ્વેલર્સને ત્યાંથી કરોડો રૂપિયાના બેનામી હિસાબ મળી આવે તેવી ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.









