- વિરપૂરના યુવક જીગ્નેશ ગઢવીની નિકળી અંતિમયાત્રા
- યુવાનની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
- મૃતક અન્ય લોકોને બચાવવા માટે ગયો હતો: પરિવારજન
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડે સમગ્ર રાજ્યની સાથે સાથે સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો છે. આ અગ્નિકાંડમાં સત્તાવાર રીતે 28 લોકોના મોત થાય છે. જેમાં અનેક બાળકોનો સમાવેશ થાય છે. તો, આ અગ્નિકાંડમાં DNA ટેસ્ટ કર્યા બાદ એક પછી એક મૃતદેહોની ઓળખ થઈ રહી છે. ત્યારે, આ અગ્નિકાંડમાં વિરપુરના પણ એક યુવાનનું મોત થયું છે જેની આજે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.

રાજકોટના TRP ગેમ ઝોન ખાતે વિરપુરના એક યુવકનું મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે વિરપુરનો યુવક જીગ્નેશ ગઢવી 20 દિવસ પહેલા જ TRP ઝોનમાં નોકરીએ લાગ્યો હતો. પહેલા મહિનાનો પગાર મળે તે પહેલા જ જીગ્નેશ મોતને ભેટતા પરિવાર પર આભ ફાટ્યું છે. પરિવારના લોકોનું કહેવું છે કે આગ લાગ્યા બાદ જીગ્નેશે પોતાના જીવની પરવાહ કર્યા વગર અન્ય લોકોને બચાવવા માટે ગયો હતો અને લોકોને બચાવતા બચાવતા પોતે પણ મોતને ભેટી ગયો હતો.
ત્યારે, આજે જીગ્નેશ ગઢવીની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. વિરપુરના યુવકની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં વિરપૂરના લોકો જોડાયા હતા. તો સાથે સાથે વિરપુરના મામલતદાર અને TDO સહિત અધિકારીઓ જોડાયા હતા. તો, ચાર બહેનોએ એકના એક ભાઈ, 12 વર્ષના દીકરાએ પિતા અને પરિવારે પોતાનો જવાનજોધ દીકરો ગુમાવતાં પરિવારમાં તો શોકનો માહોલ છે જ પરંતુ સાથે સાથે અંતિમ યાત્રામાં આખું વિરપુર હિબકે ચઢ્યું હતું.