રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં વરસાદે વિનાશ સર્જ્યો છે અને તેના કારણે તમામ પ્રકારના પાકો સંપૂર્ણપણે નાશ થતાં ખેડૂતોને રાતાપાણીએ રડવાનો વારો આવ્યો છે. સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગની આગાહીને પગલે પાછોતરો વરસાદ અને ઠેર ઠેર ધોધમાર વરસાદ વરસ્યો છે.
ખેડૂતોનો તમામ ખર્ચ પડ્યો માથે
જેના કારણે તમામ ખેડૂતો ચિંતિત થયા અને ભગવાનને પ્રાર્થના કરી કે હે મેઘરાજા હવે વિરામ લો પણ કુદરત પણ રુઠ્યો હોય તેમ ગુજરાત કે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ વરસવાનું અવિરત ચાલુ જ રાખ્યુ છે. ત્યારે વાત કરીએ ધોરાજી પંથકની તો હજારો વિઘા જમીનમાં અલગ અલગ પ્રકારનું વાવેતર કરવામાં આવ્યું છે અને મોંઘા ભાવના બિયારણ અને જંતુનાશક દવાઓનો છંટકાવ કર્યો અને સારૂ એવુ વાવેતર થશે અને ખેડૂત બે પાંદડે થશે પણ કુદરતને કંઈક અલગ જ મંજુર હશે.
પાછોતરા વરસાદે ખેડૂતોની દશા બગાડી
ધોરાજીના નાની પરબડીની હજારો વીઘા જમીનમાં ખેડૂતોએ અલગ અલગ પ્રકારનું વાવેતર કર્યું પણ કુદરતી આફત પર ખેડૂતો લાચાર બન્યા અને ખેતરોમાં ધોવાણ થઈ ગયેલ અને આખા વર્ષની મહેનત ઉપર પાણી ફેરવાઈ ગયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, એક વિઘામાં હજારો રૂપિયાનો ખર્ચ કર્યો પણ મેઘરાજાએ વિનાશ વેર્યો અને કપાસ, સોયાબીન, મગફળી જેવા પાકો નિષ્ફળ ગયા અને જ્યારે મેઘરાજાએ વિદાય લેવાની હોય તે સમયે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું અને ખેડૂતોને હાથમાં આવેલો કોળીયો છીનવાઈ ગયો.
સરકાર તાત્કાલિક સહાય ચૂકવે તેવી ખેડૂતોની માગ
ધોરાજી પંથકના ખેડૂતો પાયમાલ થઈ ગયા અને હવે વાવેતર કરવુ કે ના કરવુ અને વાવેતર કરવા માટે હવે નાણા પણ રહ્યા નથી, ત્યારે રાજ્ય સરકાર ખેડૂતો માટે સહાયની મોટી મોટી જાહેરાતો કરે છે પણ ખેડૂતો સુધી સહાય પહોંચતી નથી, ત્યારે ધોરાજીના નાની પરબડીના ખેડૂતો કહી રહ્યા છે કે નુકસાનીના સર્વેની હવે જરૂરિયાત નથી કારણ કે 100 ટકાથી પણ વધારે વરસાદ પડી ગયો છે, જેથી તાત્કાલિક સહાય ચુકવાય તેવી ખેડૂતોએ સરકાર સમક્ષ રજૂઆત કરી છે.









