- રૈયા રોડ પર રસ્તા પર 3 ફૂટ પાણી ભરાયા
- રોડ-રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો
- રૈયા રોડ, સાધુ વાસવાણી પાણીમાં ગરકાવ
રાજકોટમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે,રૈયા રોડ પર રસ્તા પર 3 ફૂટ પાણી ભરાયા છે,રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે,રૈયા રોડ અને સાધુ વાસવાણી રોડ પાણીમાં ગરકાવ થયો છે.વહેલી સવારથી રાજકોટમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે.રાજકોટમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.
રાજકોટ ઉપરથી જળ સંકટ થયું દૂર
રાજકોટ શહેર અને જિલ્લા ઉપર છેલ્લા 3 દિવસમાં જે રીતે મેઘરાજા મહેરબાન બની અનરાધાર વરસી રહ્યા છે જેનાથી રાજકોટ શહેર અને જિલ્લા ઉપરથી જળસંકટ દૂર થઇ ગયું છે. રાજકોટની જીવદોરી સમાન આજી, ન્યારી અને ભાદર તમામ મુખ્ય જળાશયો છલોછલ થતા રાજકોટવાસીઓ ઉપર રહેલું જળસંકટ દૂર થયું છે.

રાજકોટના તમામ ડેમ ઓવરફલો
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાનો ભાદર-1 ડેમ તેની પૂર્ણ સપાટીએ ભરાઇ જતાં ડેમના 10 દરવાજા 1.8 મીટર ખોલવામાં આવ્યા છે. હાલ ડેમ સાઈટ પર વરસાદી પાણીની આવક ચાલુ છે. જેના કારણે ભાદર ડેમ નજીક હેઠવાસના ગ્રામ્ય વિસ્તારના ખંભાલીડા, ભૂખી, ઉમરકોટ, વેગડી, ગોંડલ, ભંડારિયા, મસીતાળા, નવાગામ, નિલાખા, જામકંડોરણા, ઈશ્વરિયા, તરવડા, જેતપુર, દેરડી, કેરાળી, ખીરસરા લુણાગરા,લુણાગરી, મોણપર, નવાગઢ, પાંચપીપળા, રબારિકા, સરધારપુર, વાડાસડા સહિતના ગામોના ગ્રામજનોને નદીના પટ વિસ્તારમાં અને નીચાણવાળા વિસ્તાર પર ન જવા જિલ્લા સિંચાઈ પૂર્વ વર્તુળ દ્વારા અપીલ કરવામાં આવી છે.
ઓગસ્ટના અંતમાં વરસાદનું જોર ઘટશે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મૂજબ વાત કરીએ તો,30 ઓગસ્ટ આસપાસ વરસાદી જોર ઘટવાની શકયતા છે.સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ફરીથી રાજ્યમાં વરસાદી માહોલ સર્જાશે.5 થી 6 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે,15 સપ્ટેમ્બર સુધી ગુજરાતના સમગ્ર ભાગોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.









