- લાલબત્તી બતાવતા ટ્રેનના ચાલકે ઈમરજન્સી બ્રેક લગાવી
- હાઈકોર્ટની ઝાટકણી બાદ વનવિભાગ અને રેલવે વિભાગ સતર્ક
- સિંહ પસાર થતાં રેલવે ટ્રેક ક્લિયર થતા ટ્રેન આગળ વધી હતી
અમરેલી જિલ્લામાં રેલવે ટ્રેક પર થયેલા કેટલાક અકસ્માતમાં સિંહના મોતના બનાવ બન્યા બાદ થોડા સમય પહેલા હાઈકોર્ટે વનવિભાગ અને રેલવે વિભાગને ખખડાવ્યા હતા. જે બાદ વનવિભાગ અને રેલવે વિભાગની ટીમો સતર્ક થઈ છે. અમરેલી જિલ્લામાં ગતરાત્રિએ રાજુલા-પીપાવાવ રેલવે ટ્રેક પર બે સિંહ પસાર થતાં હતા ત્યારે જ ગુડઝ ટ્રેન આવી પહોંચી હતી. જો કે, વનવિભાગના ટ્રેકર્સે સમસસૂચકતા દાખવીને અકસ્માત થતો ટાળ્યો હતો. ટ્રેકર્સે લાલબત્તી બતાવતા ટ્રેનના ચાલકે ઈમરજન્સી બ્રેક લગાવી દીધી હતી. બાદમાં રેલવે ટ્રેક ક્લિયર થતા ટ્રેન આગળ વધી હતી.
આજે વહેલી સવારે રાજુલા પીપાવાવ પોર્ટ રેલવે ટ્રેક વચ્ચે ગુડ્સ ટ્રેન પસાર થતા 2 સિંહો ટ્રેક ઉપર બેસી રહ્યા હતા. આ દરમ્યાન વનવિભાગના ટ્રેકર્સ ભરતભાઈ અને ભોળાભાઈએ રેલવે વિભાગના હેડક્વાર્ટરમાં સિંહોની માહિતી આપી હતી. આ દરમ્યાન ગુડ્સ ટ્રેન નજીક આવતા ટ્રેકર્સ દ્વારા લાલબત્તી કરતા વિવેક વર્મા નામના પાયલટે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી હતી. જેના કારણે બંને સિંહો બચી ગયા હતા. બંને સિંહો ત્યાંથી પસાર થઈ ગયા બાદ ટ્રેક ક્લિયર થયાના સંકેતો મળ્યા બાદ ટ્રેન સાવચેતી પૂર્વક રવાના કરવામાં આવી હતી.













