- વન વિભાગ દ્વારા 75 લાખ લોકોને ટેક્સ્ટ મેસેજ મોકલાયા
- સિંહોના ઘર સાસણ ગીરમાં વિશ્વ સિંહ દિવસની ગૌરવપૂર્ણ ઉજવણીમાં મુખ્યમંત્રીનું ઉદ્દબોધન
- સમસ્યાઓથી બચવાનો એકમાત્ર ઉપાય પર્યાવરણનું જતન કરવાનો છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે બપોરે વિશ્વ સિંહ દિવસની ઉજવણી સાસણ-ગીર ખાતે આવેલા કમ્યુનિકેશન સેન્ટર ખાતે કરવામાં આવી હતી. સાસણ ગીર ખાતે આવેલ સિંહ સદનમાં ગીરની જૈવ વિવિધતા અને સાંસ્કૃતિક ધરોહરની તસવીરો ધરાવતી પ્રદર્શનીને ખુલ્લી મૂક્યા બાદ સિંહ સંરક્ષણ અને સિંહ સંવર્ધનને લગતા પોસ્ટર અને બેનર્સ સાથેની રેલીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.
બાદમાં મુખ્યમંત્રીએ કમ્યુનિકેશન સેન્ટર ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી પ્રસંગે સંબોધન કરતા કહ્યું કે, આપણા જીવન વ્યવહારમાં પણ દરેક જીવ માટે પરોપકાર અને જીવો અને જીવવા દોની ભાવના વણાયેલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રાણીમાત્ર પ્રત્યેની દયા અને અનુકંપાની પ્રતિતિ કરાવતા પ્રસંગને યાદ કરતા તેમણે કહ્યું હતું કે, તાઉતે વખતે સૌરાષ્ટ્રમાં થયેલી ખુવારીની વિગતો મેળવતા વડાપ્રધાને જંગલમાં રહેલા પશુ-પંખીઓની રક્ષા અને માવજત પણ માનવ જીવ સાથે થાય તે માટે સંવેદનશીલતાથી કાર્ય કરવા માટે માર્ગદર્શન આપતા હતા. પ્રાણી અને પ્રકૃતિ સાચવવાની આપણા સૌની સંયુક્ત જવાબદારી છે. ગુજરાતના ગૌરવ એવા વનકેસરી કુદરતી રીતે વિહરે, વિચરે અને વિકસે તે માટેના પ્રયત્નો જ સિંહ દિવસની સાચી ઉજવણી છે. દર વર્ષે વિશ્વ સિંહ દિવસની ઉજવણીએ ફ્ક્ત ઉજવણી ન બની રહેતાં, પ્રાણીમાત્ર પ્રત્યેની અનુકંપા બને અને પ્રાણીમાત્રનું રક્ષણ થાય તેવો ભાવ જનજનમાં જાગે એ જ તેની સાચી ઉજવણી છે.આજના દિવસે વનવિભાગ દ્વારા 75 લાખ લોકોને ટેક્સ્ટ મેસેજ અને 3 લાખ લોકોને મેઈલ દ્વારા જાગૃતિ અંગેનો સંદેશો ફેલાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ ભાલછેલ સનસેટ પોઇન્ટ ખાતે એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું.










