- બુધવારે રાત્રીના સમયે ચાર બુકાની ધારી ટોળાંએ ટોલ બૂથ પર હંગામો મચાવતા ફરિયાદ
- ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે ફૂટેજ ચકાસીને વધુ ઝીણવટભરી તપાસ હાથ ધરી
- ટોલનાકાની બારીઓના કાચ સહિત અંદર પડેલાં કોમ્પ્યુટરોને પણ તોડી નાસી છૂટયા
પાંથાવાડા ધાનેરા નેશનલ હાઈવે પર વાછડાલ ગામ નજીક આવેલા ટોલ પ્લાઝા પર બુધવારે રાત્રે ટોલ ઉઘરાવાને લઈને બબાલ થઈ હતી. જેમાં સિફ્ટ કારમાં ધસી આવેલા ચાર જેટલા તોફની તત્વોના ટોળાએ મોંઢે બુકાની બાંધીને નીચે ઉતરી ધોકા અને લોખંડની પાઈપથી ટોલનાકાની બારીઓના કાચ સહિત અંદર પડેલાં કોમ્પ્યુટરોને પણ તોડી નાસી છૂટયા હતા.
વધુમાં મળતી માહિતી મુજબ વાછડાલ પાસે આવેલ ટોલ પ્લાઝા પર છેલ્લા કેટલાય સમયથી ટોલ ટેક્સને લઈને વિવાદ થઈ રહ્યો છે, જેમાં બુધવારે સાંજે નવેક વાગ્યાના સુમારે આ ટોલ પ્લાઝા પર નંબર વગરની શિફ્ટ કારમાં ચાર જેટલા ઈસમો મોઢે કપડું બાંધી ટોલ પ્લાઝા પર તોડફેડ કરી હતી. જેને લઈને ટોલ આ પ્લાઝા પર હિસાબનીશની જવાબદારી ધરાવતા કર્મી શ્યામવીર બચુસિંહ જાટ રહે,ગુબરારી તા.જી.હાથસર ઉતરપ્રદેશવાળાએ પાંથાવાડા પોલીસ મથકે રામભા ભુરસિંહ ઠાકોર રહેવાસી ખીમત તા.ધાનેરા વાળા સામે પાંથાવાડા પોલીસ મથકે નામજોગ ફરિયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા અનુસાર નંબર વગરની શિફ્ટ કાર ખીમત તરફ્થી પૂર ઝડપે આવી ટોલનાકા પર લગાવેલા બેરિયર તોડી આગળ જઈ પાછી ફરીથી ખીમત તરફ્ રોડે જઈ ટોલનાકા પાસે ઉભી રાખી જે કારમાંથી ચાર શખ્સોએ નીચે ઉતરી મોંઢા પર કપડાં બાંધી પાઇપ ધોકા વડે બારીઓના કાચ તેમજ તેમાં રાખેલા કોમ્પ્યુટરને પણ તોડી નાખ્યા હતા. બબાલ થતાં ટોલ પ્લાઝાના કર્મીઓ દોડી આવતાં હુમલો કરનાર ચાર વ્યક્તિઓએ કર્મીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ અગાઉ પણ બે ત્રણ વખત ખીમત ગામના અમુક માણસોએ વાહનોની અવરજવર બાબતે ટોલ પ્લાઝાના કર્મીઓ સાથે બોલાચાલી કરી હતી. જેમાં લોકલ માણસો પાસે ટોલ કેમ ઉઘરાવો છો, ટોલ નાકું તોડી દઈશું, જેવી ધમકી આપી હતી. પાંથાવાડા પોલીસ મથકના ઇન્ચાર્જ પીએસઆઇ પી. એસ.ચૌધરીએ વધુ તપાસ આદરી છે.










