ગુજરાત સરકારે ગઈકાલે રાજયના બેસ્ટ કલેક્ટર અને બેસ્ટ ડીડીઓના એવોર્ડ જાહેર કર્યા છે. જેમાં 1920-21ના વર્ષ માટે બેસ્ટ કલેક્ટરનો એવોર્ડ તત્કાલીન વલસાડ જિલ્લા કલેક્ટર આર. આર. રાવલને ફાળે જાય છે. કલેકટર રાવલ સાહેબ મહેસાણા જિલ્લાના ઉનાવા ગામના વતની છે.અત્રે ઉલ્લેખનીય છે કે રાવલની વલસાડ જિલ્લાની કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકેની કામગીરી ખૂબ જ શ્રેષ્ઠ રહી હતી.


વાવાઝોડા દરમિયાન કરી મોટી કામગીરી

તેમના કાર્યકાળમાં નિસર્ગ અને તૌકતે જેવા જબરદસ્ત વાવાઝોડાં અને કોરોનાની ભયાવહ લહેર આવી હતી. આમ છતાં તમામ પડકારો વચ્ચે તેમણે બજાવેલ શ્રેષ્ઠ કામગીરીની નોંધ લઈ ગુજરાત સરકારે તેમને બેસ્ટ કલેક્ટરનો એવોર્ડ અને રૂપિયા એકાવન હજારનું રોકડ ઇનામ જાહેર કર્યું છે જે રાવલ માટે ગૌરવશાળી ઘટના ગણી શકાય.

સારા અધિકારી તરીકે ફરજ નિભાવે છે

આર. આર. રાવલની કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ એ છે કે, તેઓ વલસાડ જિલ્લા કલેક્ટર હતા ત્યારે એકબાજુ વાવાઝોડાની આપત્તિ હતી અને બીજી બાજુ એમના પિતાનું અવસાન થયેલ હતું. છતા રાવલે પિતાની અંતિમયાત્રામાં જવાને બદલે લોકોની સેવા કરવાનું પસંદ કરી માત્ર વિડિઓ કોલ પર મૃત પિતાના અંતિમ દર્શન કર્યા હતા જે તેમની ફરજનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ છે. જેની પણ સરકારે તતસમયે સરાહના કરી હતી.

કલેકટરની મોટી કામગીરી રહી

અહી નોંધનીય છે કે રાવલનું જોડાણ બનાસકાંઠા જિલ્લા સાથે પણ રહ્યું છે. વર્ષો સુધી તેમણે અલગ અલગ જગ્યા પર ફરજ બજાવી સેવા આપી છે. વર્ષ ૨૦૦૪ થી ૨૦૦૭ દરમ્યાન બનાસકાંઠા જિલ્લાના જિલ્લા પુરવઠા અધિકારી તરીકે અને ૨૦૦૫ -૦૬માં અંબાજી ટેમ્પલ ટ્રસ્ટના વહીવટદાર તરીકે પ્રસંશનીય કામગીરી બજાવી અપાર લોકચાહના પ્રાપ્ત કરેલ છે. એટલું જ નહિ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ તરીકે ૨૦૨૧ - ૨૦૨૩ દરમ્યાન પ્રથમવાર અંબાજીના ભાદરવી પૂનમના મહા મેળાનું રાજય કક્ષાએથી આયોજન હાથ ધરી સમગ્ર મેળાનું શ્રેષ્ઠ આયોજન કરીને તથા યાત્રાધામ અંબાજીના વિકાસમાં પણ તેમનો સિંહ ફાળો રહેલો છે.

  • Follow us on: