ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યના ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં સુરત ખાતે એક દિવસીય ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. પોલીસ કમિશનર કચેરી ખાતે સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદના પોલીસ કમિશનરો અને રાજ્યના નવ રેન્જ આઈ.જી સાથે યોજાયેલી ક્રાઈમ કોન્ફરન્સમાં દરેક પોલીસ કમિશનર તથા આઈજીઓએ પોતાના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા માટે 2024ના વર્ષમાં કરેલી કામગીરીને પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરી હતી.
ગુજરાત પોલીસની કામગીરીમાં ઉત્તરોત્તર સુધારો
આ બેઠકમાં ભવિષ્યના રોડ મેપ સાથે પરિણામલક્ષી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ક્રાઈમ કોન્ફરન્સ બાદ ડીજીપી વિકાસ સહાયે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસની કામગીરીમાં ઉત્તરોત્તર સુધારો થાય તે માટે અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. પોલીસની કામગીરી વધુ અસરકાર બને તે માટે રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. પ્રજા અને પોલીસ વચ્ચે સુમેળભર્યા સંબંધો કેળવાય, નાગરિકોને સલામતી અને સુરક્ષાની પ્રતિતી થાય તે માટે પોલીસ દ્વારા કોમ્યુનિટી આઉટરિચ પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવ્યો છે. ‘તેરા તુજકો અર્પણ’ પહેલ હેઠળ સમગ્ર રાજ્યમાં 2024ના વર્ષમાં 3300 કાર્યક્રમ દ્વારા લોકોને રૂપિયા 153 કરોડની લુંટ, ચોરી, ફ્રોડ થયેલી અને વ્યાજખોરોએ પડાવી લીધેલી મિલકતો પરત કરવામાં આવી છે. ‘તેરા તુજકો અર્પણ’ની ભાવના પ્રજા અને પોલીસ વચ્ચે સેતુરૂપ બની રહી છે.
2024માં 715 વ્યાજખોર સામે ગુનાઓ નોંધાયા
રાજ્યના 650 પોલીસ સ્ટેશન, 700 આઉટ પોસ્ટ, ચોકીઓના પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા 2 મહિને ‘ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી’ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં સ્થાનિક પ્રશ્નો ઉકેલવામાં આવે છે. 2024માં રાજ્યમાં 10,500 જેટલા આવા કાર્યક્રમ યોજી તેમાં મળેલા સ્થાનિક મુદ્દાઓ પર ભવિષ્યની કામગીરીને બહેતર બનાવવાનું મંથન કરાયું હોવાની વિગતો તેમણે આપી હતી. વ્યાજખોરી સામે પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ કરવામાં આવી છે, જેમાં 2024માં 715 વ્યાજખોર સામે ગુનાઓ, એફ.આઇ.આર દાખલ કરીને 1500થી વધુ લોકોની અટક કરવામાં આવી છે, જેના પરિણામે વ્યાજખોરીનું દૂષણ ઘટ્યું છે.
સાયબર ફ્રોડ-સાયબર ક્રાઈમ પર મંથન કરીને પરિણામલક્ષી કામગીરી થઈ શકે તે માટેની ચર્ચા કરવામાં આવી હોવાનું જણાવતા તેમણે કહ્યું કે, છેલ્લા એક વર્ષ દરમિયાન સાયબર ફ્રોડમાં પીડિતોએ ગુમાવેલા રૂપિયા 108 કરોડ તેમને પરત કરવામાં આવ્યા છે. લોકો વધુમાં વધુ સાયબર ક્રાઈમ પ્રત્યે જાગૃત થાય તે જરૂરી હોવાનું જણાવતા કહ્યું કે, કોઈ પણ સમયે અજાણી લિંક પર ક્લિક ન કરતા સાયબર વિશ્વમાં હંમેશા એલર્ટ રહેવાની અપીલ કરી હતી.
રાજ્યમાં 100 ટકા ઈન્સ્પેકશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી
પોલીસ સ્ટેશનની કામગીરી પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે પોલીસ અધિક્ષકો દ્વારા તેમના તાબા હેઠળના પોલીસ સ્ટેશનમાં વાર્ષિક તપાસણી કરવામાં આવે છે એટલું જ નહીં, હેડક્વાર્ટરથી દૂર રહીને 1200 નાઈટ હોલ્ટ દ્વારા ઇન્સ્પેકશન કામગીરી કરવામાં આવી છે. 2024માં રાજ્યમાં 100 ટકા ઇન્સ્પેકશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જેના કારણે રાજ્યમાં ક્રાઈમ રેટમાં મેજર ઘટાડો થયો હોવાનું તેમણે કહ્યું હતું.
રાજ્ય પોલીસ દ્વારા તપાસમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ગુનાઓ ઉકેલવામાં આવી રહ્યા છે. રાજ્યમાં મહિલાઓની સુરક્ષા માટે દરેક પોલીસ સ્ટેશનમાં શી ટીમની રચના કરવામાં આવી છે. સિનિયર સિટીઝનો, મહિલાઓની સુરક્ષા માટે રક્ષાબંધન દરમિયાન 25,000 વડીલોને મળીને રાખડી બાંધવામાં આવી હતી. આ ઉપરાંત, શી-ટીમ દ્વારા પ્રજા અને પોલીસ વચ્ચે સંવાદિતા જળવાઈ રહે એ માટે 10,000 શિક્ષકનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.













