સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં તા. 30મી એપ્રિલે બુધવારે અખાત્રીજની ઉજવણી કરવામાં આવશે. ખાસ કરીને અખાત્રીજનો પાવનકારી દિવસ એ ધરતીપુત્રો માટે શુભ ગણાય છે. આ દિવસે તેઓ નવા ખેતીવર્ષનો પ્રારંભ કરે છે. સુખી અને સંપન્ન ખેડૂતો ટ્રેક્ટરો પણ ખરીદતા હોય છે. ત્યારે અખાત્રીજને લઇને ટ્રેક્ટરોનું વેચાણ વધવાની અપેક્ષા ઓટો ડિલર્સ રાખી રહ્યા છે. બીજી તરફ સોનાના ભાવોમાં તોફાની તેજીના પગલે ઘરાકી નીકળશે કે કેમ ? તેને લઇને જ્વેલર્સમાં મૂંઝવણ પ્રવર્તી રહી છે. 30મીને બુધવારે અખાત્રીજના શુભ દિવસે ખેડૂતો નવા કૃષિ વર્ષનો પ્રારંભ કરશે. ખેડૂતોના પરિવારો માટે અખાત્રીજનો દિવસ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. અખાત્રીજના દિવસે ધરતીપુત્રો ખેતીકામોની શરૂઆત કરતા હોય છે. આ શુભ દિવસે વાહનો, સોના-ચાંદીના દાગીના, સિક્કા વગેરેની ખરીદી કરી જિલ્લાવાસીઓ સારા કાર્યોનો પ્રારંભ કરતા હોય છે. અખાત્રીજ એટલે કે, અક્ષય તૃતિયાનો દિવસ ખુબ જ શુભ માનવામાં આવે છે. અખાત્રીજે કોઈપણ નવા કાર્યોનો શુભારંભ કરવાની વર્ષોની પરંપરા ચાલી આવી છે. સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં અખાત્રીજની ખુબ જ હર્ષભેર ઉજવણી કરવામાં આવશે. ખેડૂતો માટે ખુબ જ મહત્વના આ દિવસે સવારે ખેતરોમાં જતા પહેલાં બળદોને ચાંલ્લા કરી શિંગડે તેલ લગાવી નાડાછડી બાંધી ગોળ ખવડાવી રવાના કરશે, ઉપરાંત ખેતરોમાં શ્રીફળ વધેરી પુજા કરી નવું ખેતી વર્ષ સારૂ જાય તેવી પ્રાર્થના સાથે ખેતીકામોનો પ્રારંભ કરશે. ખેડૂતો ખેત ઓજારોની પણ પુજા કરશે. આજના આધુનિક સમયમાં બળદગાડાંનું સ્થાન ટ્રેક્ટરોએ ભલે લઇ લીધું છે. પરંતુ જાણીને નવાઇ લગાશે કે આજે પણ એવા ઘણા ધરતીપુત્રો છે. જેમણે બળદગાડાંની પરંપરા જાળવી રાખી છે. ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ સીમ ખેતરોમાં નાના-મોટા ખેતીકામો માટે બળદગાડાનો ઉપયોગ થાય છે.


સોનાના ભાવોમાં ભારે ઉછાળાથી જ્વેલર્સમાં નિરાશા

અગ્રણી જ્વેલર્સના જણાવ્યા પ્રમાણે ગત વર્ષે અખાત્રીજે સાબરકાંઠા-અરવલ્લીમાં અંદાજે 20 કરોડથી 22 કરોડના સોના-ચાંદીના દાગીના, સિક્કા વગેરેનું વેચાણ થયું હતું. પરંતુ આ વર્ષે સોનાના ભાવો અભૂતપૂર્વ રીતે વધ્યા છે. આથી અખાત્રીજના શુભ દિવસે પણ જ્વેલર્સને અપેક્ષા પ્રમાણે ઘરાકી થશે કે કેમ ? તે અંગે સંશય છે. તોતિંગ ભાવોના કારણે સોનું ખરીદવું સામાન્ય પરિવારો માટે તો દોહ્યલું બન્યું છે. પરંતુ ખાસ કરીને અખાત્રીજે સોનામાં રોકાણ કરતા ઇન્વેસ્ટર્સ સોનાના સિક્કા, લગડી ખરીદશે તેવી અપેક્ષા છે. જો કે, ચાંદીનાં ઘરેણાં જેવાં કે, પાયલ, ગ્લાસ, મૂર્તિ વગેરેનું વેચાણ થવાની આશા જ્વેલર્સ રાખી રહ્યાં છે.

ટ્રેક્ટરોની ખરીદી થવાની ઓટો ડીલર્સને ધારણા

બંન્ને જિલ્લામાં અખાત્રીજે તમામ પ્રકારના વાહનોનું વેચાણ થતું હોય છે. ઓટો ડીલર્સના જણાવ્યા પ્રમાણે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં મળીને ગત વર્ષે લગભગ 160થી 190 આસપાસ ટ્રેક્ટરોની ધરતીપુત્રોએ ખરીદી કરી હતી. ટ્રેક્ટરોની ખરીદી માટેનું એક પરિબળ ચોમાસું કેવું રહેશે ? તે પણ માનવામાં આવે છે. આ વર્ષે ચોમાસું સારું રહેશે તેવી હવામાન વિભાગની આગાહીના પગલે ટ્રેક્ટરોની સંપન્ન સુખી ખેડૂતો ખરીદી કરશે તેવી અપેક્ષાએ ડીલર્સે તૈયારીઓ કરી છે.


  • Follow us on: