સાણંદ ઈન્ડસ્ટ્રીઝ કે જે પોતાના વિકાસ અને વિસ્તારને લઈને આજે દેશ દુનિયામાં ખ્યાતનામ થઈ ગઈ છે તેમા આજકાલ દબાણો, ગેરકાયદે બાંધકામ અને સ્થાનિક નેતાઓની સતત દખલગીરીને લઈ જીઆઈડીસીના અધિકારીઓતો નમાલા થઈ જ ગયા છે પણ તેને લઈને આગામી સમયમાં થવાના વિકાસ પર ગ્રહણ લાગી શકે તેમ છે.
એસ્ટેટને બાનમાં લીધુ
તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના વિકાસ સ્વપ્ન સમાન આ એસ્ટેટમા આજકાલ બધુ સમુસુતરૂ નથી ચાલી રહ્યું. મળતી આધારભૂત માહિતિ મુજબ એક સ્થાનિક ગામના નેતા થઈને ફરતા વ્યક્તિએ જાણે ખેલ એસ્ટેટને બાનમાં લીધુ હોય તેવો ઘાટ ઘડાયો છે. તંત્રના ખાઈબદેલા અને ભ્રષ્ટ અધિકારીઓ વચ્ચે ખિસ્સાખર્ચી અને ભાગબટાઈનો શરૂ થયેલા ખેલના કારણે સાણંદ જીઆઈડીસી સ્માર્ટ બનવાની બાજુપ પર, પણ ગેરકાયદે ધમધમતા ધંધાઓ, રોજ રસ્તાઓ, બાંધકામ અને દલાતરવાડીની જેમ જીઆઈડીસીની જગ્યા પર ખોટા રોડ સુદ્ધા ઉભા કરી દેવામાં આવ્યા છે.
સ્થિતિ નથી બદલાઈ
વિદેશના ઉદ્યોગકારો આવે ત્યારે કોટ પાટલુન અને ઈસ્ત્રી ટાઈટ ટાઈ અને ચમકદાર જોડા સાથે સજ્જ થઈને પોંહચી જતા બાબુઓએ એ સિવાય પણ સ્થાનિક લોકો અને ઉદ્યોગકારોની ચિંતા કરવાની પણ જરૂર છે. જીઆઈડીસીમાં કોઈ પણ અધિકારી આજે છાતી ઠોકીને ના કહેવાની સ્થિતિમાં નથી કે, સાણંદમાં ગેરકાયદે બાંધકામ નથી, ગંદકી નથી કે નથી કોઈ ગામના રાજકારણીની દાદાગીરી કે જેના પાપે રોડના 'રસ્તા'ઓ બદલાયા છે.
ફોરલેનના રસ્તાઓ સિંગલ રસ્તા બની ગયા
આ ગેરકાયદે બાંધકામોની સ્થિતિ હવે એવી થઈ ગઈ છે કે ફોરલેનના રસ્તાઓ સિંગલ રસ્તા બની ગયા છે અને આમને સામને ટ્રક આવી જાય તો પણ સ્થિતિ ટ્રાફિક જામમાં ફેરવાઈ શકે છે. જીઆઈડીસીના અધિકારીઓને ફુરસત મળે તો બોલ ચોકડીથી લઈ મેલડી માતાની ચોકડીના રસ્તાની જ કાતરી કરી શકે છે. સરકારી નિયમો અને ધારાધોરણોને ખિસ્સામાં રાખી ફરનારાઓએ ફુટપાથ તોડી નાખીને તેના પર વાહનો લઈ આવે છે.
અનઅધિકૃત બાંધકામો ધમધમી રહ્યા છે
બોલ ચોકડીથી જ લઈને કોકોકોલા સુધીના રોડ પર પણ આવા જ અનઅધિકૃત બાંધકામો ધમધમી રહ્યા છે, તો એ કોના આશીર્વાદ કે દિવાળીની કૃપાથી થઈ ગયા ? ખેડૂતો કે સ્થાનિક ઉદ્યોગકારોને તો રોડની મંજુરીની વાત માત્રથી જ એમ.ડી સાહેબ બહાર કાઢી મુકે છે, તો સાણંદમાં ફાલી ઉઠેલી ગેરકાયદે અને ભ્રષ્ટાચારીઓની આ કળાને કોણ છાવરી રહ્યું છે? સાણંદની આ વસાહતને સ્થાનિક રાજકારણીઓ અને ભ્રષ્ટાચારીઓની નાળ પારખી ગયેલાઓ હવે ભોરીંગ નાખીને બેઠા છે. આ આખા ષડયંત્રને વેગ તો ત્યારે મળે છે કે જ્યારે RTI દરમિયાન આવી કોઈ વિગતો ઉપલબ્ધ નહીં હોવાનું જણાવવામાં આવે છે. આ નો મતલબ કે જે તે ફાઈલો ગાયબ છે અથવા તો માહિતિ આપવામાં તંત્રના અધિકારીઓના કપડા ઉતરી જાય એમ લાગી રહ્યું છે.
દાદાનું બુલડોઝર ફરવું જરૂરી
વાત કે ભ્રષ્ટાચારની મોટી હદ એ છે કે સાણંદના કોમન યુટિલીટી પ્લોટ પર પણ પેટ્રોલ પંપ બંધાઈ ગયો છે. હવે આ કૃપા કોને કરી અને કેટલામાં કરી એ એક મોટો પ્રશ્ન છે. આ મામલે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા જાતે જ તપાસ સમિતિ નીમવાની જરૂર છે કે જેથી કરીને નીચેના સ્તરે કમજોર થઈ ગયેલાઓના ગેરવહિવટ અને ભ્રષ્ટાચારનો પર્દાફાશ થાય. આજકાલ દાદાનું બુલડોઝર ગેરકાયદે બાંધકામો પર જોરથી ફરી રહ્યું છે તો સાણંદમાં પણ એકવાર આ સપાટો બોલાવવાની જરૂર છે.આગામી સમયમાં સેમીકન્ડક્ટરની મોટી બ્રાંડ જ્યારે સાણંદમાં પગ મુકશે અને તેમને આવા ભ્રષ્ટાચારીઓ સાથે ભેટો થશે ત્યારે ઔદ્યોગિક વસાહત સહિત ગુજરાતની વિકાસ ક્ષેત્રે બનેલી પ્રતિષ્ઠાને ઝાંખપ ના લાગે તે હવે સરકારે જોવાનું છે.