ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગનાં સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ બોટાદ જિલ્લાના બરવાળા ખાતે શ્રીકષ્ટભંજન દેવ મંદિર પરિસરમાં સરસ મેળો-2024નું આયોજન કરાયું છે. જેનો શુભારંભ બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર અને ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભીના હસ્તે કરાયો હતો.
10 દિવસ ચાલશે મેળો
બોટાદ જિલ્લા તથા અન્ય જિલ્લાઓના સ્વ સહાય જુથો/સખી મંડળનાં બહેનો દ્વારા સ્વ ઉત્પાદિત વિવિધ વસ્તુઓ જેવી કે, હસ્તકલા, હેન્ડલૂમ, વાંસની બનાવટ, મરી-મસાલા, અન્ય ફૂડ પ્રોડક્ટ્સ, લેધર પ્રોડક્ટ્સ અને પ્રાકૃતિક ખેતી કરતા મહિલા ખેડૂત દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક ખાદ્ય પ્રોડક્ટ્સ સહિતની વસ્તુઓ સરસ મેળા ખાતે ઉપલબ્ધ છે. કુલ 51 સ્ટોલ દ્વારા વિશાળ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. શુભારંભ પ્રસંગે ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ સરસ મેળાના આયોજન બદલ સરકારશ્રી અને તમામ અધિકારીઓ-કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.

અધિકારીઓ રહ્યાં હાજર
રાજ્યભરના સખીમંડળની બહેનો આ વસ્તુઓના વેચાણ દ્વારા આજીવિકા મળી રહે અને આત્મનિર્ભર બને તેવા શુભ આશયથી ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. (ગુજરાત સરકાર) અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, બોટાદ આ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સાળંગપુર ખાતેના શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતેનાં પ્રાંગણમાં તા.29-11-24થી તા.08-12-24 સુધી એમ કુલ 10 દિવસ માટે મેળો ચાલશે.સરળ મેળાના શુભારંભ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ભાર્ગવભાઈ પટેલ, બરવાળા પ્રાંત અધિકારીશ્રી ચૌધરી, મામલતદાર પ્રજાપતિ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.