ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો છે.સરદાર સરોવર નર્મદા ડેમ 4 દિવસથી છલોછલ છલકાઈ ગયો છે.હજી પણ ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત છે.હાલ ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર પર પહોંચી છે.ઉપરવાસમાંથી પાણીની 55,906 ક્યુસેક આવક થઈ છે.હજુ પણ ડેમનો 1 ગેટ 0.60 મીટર ખુલ્લો છે.ડેમમાંથી કુલ 55,122 ક્યૂસેક પાણીની જાવક નોંધાઈ છે.
સતત ચાર દિવસથી સરદાર સરોવર છલોછલ
નર્મદા ડેમ છલોછલ ભરાઈ ગયો છે જેના કારણે ગુજરાતવાસીઓમાં આનંદો છે,સિઝનમાં પહેલી વખત ડેમ છલોછલ ભરાઈ ગયો છે.હાલ પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.મધ્યપ્રદેશમાં પણ વરસાદ હોવાથી પાણીની આવકમાં વધારો થયો છે.નર્મદા ડેમ 2 વર્ષ સુધી ગુજરાતને સિંચાઈ અને પાણી આપવામાં સક્ષમ છે.સાથે સાથે ડેમ ભરાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરાયા છે.ત્યારે તંત્ર દ્રારા હજી પણ અગામી સમયમાં પાણી નદીમાં છોડવામાં આવશે.
મધ્યપ્રદેશમાં વરસી રહ્યો છે વરસાદ
અગાઉ ડેમની મહત્તમ સપાટી 121.92 મીટર હતી પણ ત્યાર બાદ 30 દરવાજાઓ લગાવવામાં આવતાં ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર પર પહોંચી છે. 2017માં દરવાજાઓ સાથેના ડેમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં છે પણ મધ્યપ્રદેશમાં હજી વરસાદ પડી રહયો હોવાથી ઉપરવાસના ડેમોમાં વીજ ઉત્પાદન ચાલુ હોવાથી પાણી સરદાર સરોવરમાં આવી રહયું છે.
સરદાર સરોવર નર્મદામાં 100 ટકા જળસંગ્રહ
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં બે વર્ષ ચાલે એટલો પાણીનો જથ્થો આવી ચૂક્યો છે. હાલ સરદાર સરોવરમાં 100 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે. તેમજ ઉપરવાસમાંથી હજુ પણ પાણીની આવક થવાની શક્યતાના પગલે નર્મદા ડેમ પણ નજીકના દિવસોમાં ઓવરફ્લો થવાની પૂરી શક્યતા છે. નર્મદા ડેમમાં રાજ્યના 173 શહેર અને 9490 ગામના અંદાજે 2.90 કરોડ લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત રાજ્યના 18.45 લાખ હેકટરમાં સિંચાઈ માટે પણ પાણી પૂરું પાડવામાં આવે છે.









