સાયલા તાલુકામાં યમરાજાનું કાળચક્ર ફરી વળ્યું હોઇ તેમ બે દિવસમાં અકસ્માતોની હારમાળા સર્જાઇ હતી.મંગળવારે વહેલી સવારે હાઇવે પરના સાયલા બાયપાસ તથા ગોસળ ગામના બોર્ડ નજીક 2 અલગ અલગ અકસ્માતોમાં એક મહિલા તથા આધેડના મોતના બનાવ બાદ સાંજે પણ એક ગમખ્વાર અકસ્માતમાં સખપર ગામની શાળાએથી ધાંધલપુર રોડે સાંજે પરત ચોટીલા ઘરે જવા નિકળેલા મહિલા આચાર્યના બાઇક આડે પશુ ભટકાતાં તેમને ગંભીર ઇજાઓ થવા પામી હતી જ્યારે સારવાર મળે તે પહેલા જ તેમનું કરુણ મોત નીપજતાં પરિવાર સાથે શિક્ષણ વિભાગમાં શોક વ્યાપી જવા પામ્યો છે. મૃતક મહિલા આચાર્ય રેખાબેન વર્ષ 2004થી સાયલા તાલુકામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા જ્યારે હાલ સખપર ગામની શાળામાં આચાર્ય તરીકેની નોકરી કરતા હોવાનું શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
સાયલા હાઇવે પર સવારે સર્જાયેલા બીજા અકસ્માતની મળતી માહિતી મુજબ, મોરબીથી દસ્તાવેજી કામે મુળી જવા નિકળેલા ત્રણ યુવાનોની કાર ઢેઢૂકી ગામ પાસે પલટી ખાઇ જતા સર્જાયેલા અકસ્માતમાં મોરબીના સિરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલા યુવાન સાગરભાઇ ચંદુભાઇ વાંસજાળીયા (ઉ.વ 31)ને માથામાં ગંભીર ઇજાઓ થવા પામી હતી.અક્સ્માત બાદ આજુબાજુનાં લોકો એકઠા થઇ જતાં કારમાં ફ્સાયેલા ત્રણેય યુવાનોને બહાર કઢાયા હતા જેમાં ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં રહેલા સાગરભાઇને સાયલા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું કરુણ મૃત્યુ થયું હતું.અકસ્માતની જાણ થતા તેમના સ્નેહીજનો,પરિવારના લોકો સાયલા હોસ્પિટલ દોડી આવ્યા હતા. સાયલા પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી હતી અને અક્સ્માતનું કારણ જાણવા કારમાં હાજર અન્ય 2 યુવાનોની પૂછપરછ કરતાં બાજુમાં નીકળેલી કારે ઓવરટેક કરતા અક્સ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ દ્વારા આ બાબતે ફરિયાદ નોંધવાની કામગીરી હાથ ધરવા સાથે મૃતકની લાશનું પોસ્ટમોર્ટમ કરાવી પરિવારજનોને અંતિમક્રિયા માટે સોંપતા હધ્યદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા. બુધવારે બપોરે પણ અકસ્માતોનો સિલસિલો યથાવત રહેવા પામ્યો હોઇ તેમ 20થી વધુ શ્રામીકો ભરીને ચુડા તાલુકાના મોરવાડ ગામેથી પરત વઢવાણ તાલુકાના ટુવા ગામે જતી પીકઅપ કારના ચાલકે હાઇવે પરની દર્શન હોટેલ નજીક આકસ્મિક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા વાહન પલટી ગયું હતું. પીકઅપ કાર પલટી ખાતા સર્જાયેલા અકસ્માતમાં તેમાં બેસાડેલા 20થી વધુ લોકોમાંથી મોટા ભાગનાને ઇજાઓ થવા પામી હતી. અકસ્માતની જાણ કરતા ચુડા, વડોદ તેમજ સાયલા એમ કુલ ત્રણ 108 એમ્બ્યુલન્સ દ્વારા 14 જેટલા લોકોને સાયલા સરકારી હોસ્પિટલ ખાતે લવાયા હતા જ્યા 13 મહિલા સહિત કુલ 14 ઈજાગ્રસ્તોને નાની મોટી ઇજાઓ થવાથી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને વધુ ઇજા પામેલા 2થી 3 લોકો ને સુરેન્દ્રનગરખસેડવાની કામગીરી હાથ ધરાઇ હતી.










