મધ્યપ્રદેશના પ્રવાસીઓ ભરેલ ખાનગી બસ લીંબડીથી નીકળી વસ્તડી બોર્ડ નજીક ઓવરબ્રિજ ઉતરી રહી હતી. દરમિયાન ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી ખાઇ જતાં મુસાફરોની ચીસાચીસથી હાઇવે ગુંજી ઉઠયો હતો. ગોઝારા અકસ્માતમાં બસમાં સવાર 60 જેટલા પર પ્રાંતીય મુસાફરોમાંથી મોટાભાગના લોકોને નાની મોટી ઇજાઓ થવા પામી હતી.
અકસ્માતની ઘટના બાદ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને બસમાં ફ્સાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. સાથે જ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. વસ્તડી નજીક સર્જાયેલા અકસ્માતમાં બસના ચાલકે કાબુ ગુમાવી પ્રથમ આગળ રોડ પર ઉભેલા ટ્રેકટરને અડફેટે લેતા તેમાં ભરેલ કપાસ પણ રોડ પર વેરણ છેરણ પડેલો દેખાયો હતો. અક્સ્માતની ગંભીરતા પારખી જોરાવરનગર પોલીસનો કાફ્લો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ગમખ્વાર અકસ્માતમાં ઈજાગ્રસ્તોની મોટી સંખ્યા જોતા લીંબડી, સાયલા, ચુડા, મુળી, પાણશીણા સહિતની સાત જેટલી એમ્બ્યુલન્સની ટીમો દ્વારા ઈજાગ્રસ્તોને સાયલા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 40થી વધુ ઈજાગ્રસ્તોને બનાવ સ્થળેથી સાયલા હોસ્પિટલ ખાતે લાવવા માટે 108 એમ્બ્યુલન્સની ટીમો સતત દોઢ કલાક સુધી વ્યસ્ત રહેવા પામી હતી. સાયલા હોસ્પિટલ ખાતે પણ ઈજાગ્રસ્તોને લાવવા સમયે અફરા તફરીના દ્રશ્યો જોવા મળ્યા હતા.
આ બનાવની મળતી પ્રાથમિક માહિતી મુજબ, દોઢેક મહિના પહેલા મૂળ મધ્યપ્રદેશના અલગ અલગ ગામના 60 જેટલા મુસાફરો ચાર ધામની યાત્રા પર નીકળ્યા હતા જેમાં મોટાભાગના આધેડ કે વૃદ્ધ પુરુષો તથા મહિલાઓ સામેલ હતા. સૌરાષ્ટ્રના પ્રવાસે જવા સમયે વસ્તડી નજીક સર્જાયેલા અકસ્માતમાં બસમાં સવાર 60 માંથી 43 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા બાદ તેમને સાયલા સારવાર આપવામાં આવી હતી જ્યારે તેમાંથી 8 મુસાફરોને ગંભીર હાલતમાં ઇજાઓ થવાથી સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
અક્સ્માત બાદ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા
લીંબડી નેશનલ હાઇવે પર સર્જાયેલા અકસ્માતની જાણ થતા વઢવાણ નાયબ કલેકટર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જોરાવરનગર પીએસઆઇ ડી.ડી.ચુડાસમા સહિતના અધિકારીઓ દ્વારા ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને માહિતી મેળવી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ચાલકની બેદરકારીથી અક્સ્માત સર્જાયો હોવાની ચર્ચાઓ
વસ્તડી નજીક સર્જાયેલા અકસ્માતમાં મુસાફરોમાં તેમજ સ્થાનિકો માં થતી ચર્ચાઓ પ્રમાણે બસના ચાલકે પુરઝડપે પુલ ઉતરતા કાબૂ ગુમાવતા બસ ટ્રેક્ટર સાથે અથડાઈને પલ્ટી ખાઇ ગઇ હતી.આ બાબતે જોરાવરનગર પોલીસ ના ખોડુભા ખેર ના જણાવ્યા મુજબ ભોગ બનનાર મુસાફ્ર ની ફરીયાદના આધારે ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.
ચાલકને બહાર કાઢવા ક્રેનની મદદ લેવાઇ
પલ્ટી ખાઇ ગયેલ ખાનગી બસમાં આગળના ભાગે ફ્સાયેલા ચાલકને બહાર કાઢવા માટે પોલીસ દ્વારા ક્રેન બોલાવી લાંબી જહેમત બાદ તેને કાઢી ગંભીર હાલતમાં સારવાર અર્થે સાયલા અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.