સાયલાને પાણી પૂરું પાડતી ચાર દાયકા જૂની અને જર્જરિત બની ચૂકેલી ઓવરહેડ પાણીની ટાંકી લીક થવા સાથે અંદરના ભાગમાંથી પોપડા પડવાથી લોખંડના સળિયા બહાર ડોકાતા અંદર કામ કરતા ગ્રામ પંચાયતના કર્મચારીઓમાં ભયનો માહોલ ઉભો થયો છે. અગાઉ 18 માસ પહેલા પણ પંચાયત દ્વારા નવી ટાંકીની માંગણી કરાઇ હતી.
પરંતુ હાલ સુધી તંત્ર એ તે બાબતે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. અવારનવાર પોપડા પડવાની ઘટનાઓથી કર્મીઓ પણ મોટા અક્સ્માતના ડર સાથે કામ કરી રહ્યા છે. જ્યારે કોઈ દિવસ આ જર્જરિત હાલતમાં રહેલી ટાંકી અક્સ્માતનું કારણ બનવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે વહેલી તકે જૂની જોખમી ટાંકીને વહેલી તકે ઉતારી લઈ નવી બનાવવામાં આવે તેમ સૌકોઈ ઈચ્છી રહ્યા છે.
ટાંકીની નજીક જ સરકારી શાળા તેમજ યજ્ઞનગર વસાહત આવેલી છે. જેમાં અનેક પરિવારો વસવાટ કરી રહ્યા છે. ત્યારે સ્થાનિકોમાં પણ અક્સ્માતનો ડર જોવા મળી રહ્યો છે. ટાંકી એ ફ્રજ પરના કર્મચારીઓ પણ ભયના ઓથાર હેઠળ કામ કરી રહ્યા છે. ત્યારે ગ્રામ પંચાયતના સરપંચ અજયરાજસિંહ ઝાલા દ્વારા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા તેમજ પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેરને લેખિતમાં જાણ કરી નવી ઓવરહેડ પાણીની ટાંકીની સૈધાંતિક મંજૂરી આપવા રજૂઆત કરી છે તેમજ ચાર દાયકા પહેલાં બનેલ ટાંકી જે તે સમયની વસ્તીના ધોરણે બનાવાઈ હતી. પરંતુ હાલ ગામની વસ્તી 20થી 22 હજાર જેટલી થતા નવી પાણીની ટાંકી પણ વસ્તીને અનુલક્ષી મોટી બનાવાય તેવી માંગણી કરવામાં આવી છે. હાલમાં જર્જરિત બનેલી ઓવરહેડ પાણીની ટાંકીમાંથી છ લીટરની ક્ષમતા ધરાવે છે, તેમાંથી પાણી પુરુ પાડવામાં આવે છે. ત્યારે નવી ટાંકી 12થી 15 લાખ લીટરની ક્ષમતા સભરની બનાવાય તેવી માગણી સરપંચ દ્વારા વધુમાં કરવામાં આવી છે.