- ખોટી સહી, સોગંદનામા કરીને મિલકત વેચી દેનાર પલાણાના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો
- નડિયાદ રૂરલ પોલીસે પ્રશાંત વિરૂદ્ધ ઇપીકો કલમ 465,467, 468 અને 471 મુજબનો ગુનો નોંધ્યો
વસો તાલુકા પંચાયતના સભ્ય અને પલાણા ગામમાં રહેતા રિન્કાબેન દક્ષેશભાઇ પટેલે નડિયાદ રૂરલ પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પલાણા ગામમાં સર્વે નંબર 613 રહેણાંક મકાન તથા સર્વે નં 616 વાળો પ્લોટના મૂળ માલિક શાન્તાબેન મણીભાઇ પટેલ હતા. શાન્તાબેન ગુજરી ગયા બાદ તેમના પાંચ વારસદારો પૈકી વિનુભાઇ મણીભાઇ પટેલ તથા નવનીતભાઇ મણીભાઇ પટેલ, જગદીશભાઇ વિદેશમાં રહે છે. તેમજ હંસાબેન 2008માં ગુજરી ગયા અને મંજુલાબેન 2011માં ગુજરી ગયા હતા. ઉપરોકત મૂળમાલિકના વારસદારો 19 માર્ચ 2011માં સુધીમાં ભારત આવ્યા નથી . તેમ છતાં ગામના પ્રશાંત ઉર્ફે અમીત જયંતભાઇ પટેલે ઉપરોકત મૂળ માલિક ના વિદેશમાં રહેતાવારસદારોના નામના તા. 19 માર્ચ 2011 નારોજ સ્ટેમ્પ પેપર લીધા હતા. ગામના પ્રશાંત ઉર્ફે અમીત જયંતભાઇ પટેલે આ વિદેશી વારસદારો વતી ખોટા માણસો હાજર રાખીને ખોટી સહીઓ કરાવી ખોટા સોગંદનામા કરાવીને મિલકતમાંથી ખોટા હક્કકમી કરાવી દીધા હતા. ત્યારબાદ ઉપરોકત મિલકત વેચાણ અંગે બોગસ દસ્તાવેજ બનાવીને આ મિલકતના વેચાણ દસ્તાવેજ માટે મૂળમાલિક સ્વ. શાન્તાબેન પટેલ વતી કપીલાબેન રમણભાઇ પટેલને નડિયાદ સબ રજિસ્ટ્રાર કચેરીમાં રજિસ્ટ્રાર સમક્ષ ઉભા રાખીને મિલકતનો વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. આ મિલકત વેચાણ જયેન્દ્રભાઇ કાશીભાઇ પટેલને તા. 19 મે 2012માં કરી આપ્યો હતા. જેમાં 45 હજાર અને 80 હજારમાં વેચાણ આપી હતી. ત્યારબાદ આ મિલકત પૈકી સર્વે નં 616 વાળી મિલકત જયેન્દ્રભાઇએ 2016માં વિશાલ જશભાઇ પટેલને રૂ. 80 હજારમાં વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. આ અંગેની જાણ થતાં વર્ષ 2020માં જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતે તપાસ કરતાં ખોટી રીતે મિલકત વેચી મારવાનું તથ્ય પ્રકાશમાં આવ્યું હતું આ સંદર્ભે રિન્કાબેન પટેલની ફરિયાદના આધારે નડિયાદ રૂરલ પોલીસે પ્રશાંત ઉર્ફે અમીત જયંતભાઇ પટેલ વિરૂદ્ધ ઇપીકો કલમ 465,467, 468 અને 471 મુજબનો ગુનો નોંધ્યો છે.










