કડીના બોરીસણા ગામમાં હેલ્થ કેમ્પ બાદ દર્દીઓને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં લાવી પરિવાજનોની જાણબહાર જ 19 એન્જિયોગ્રાફી, 7 એન્જિયોપ્લાસ્ટી કરી નાખતા 2 દર્દીના મોત અને 7 લોકો હાલ ICUમાં દાખલ છે.
આ ઘટનાને લઈને PMJAYના ડિરેક્ટર ડૉ. યુ. બી. ગાંધીએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા તેમણે જણાવ્યું કે, ખ્યાતિ હોસ્પિટલમાં જે દર્દીઓના મોત થયા છે તે અંગે અમારી કાર્ડિયોલોજીની ટીમ તેમજ યુ. એન. મહેતાની ટીમ ત્યાં પહોંચી રહી છે. જે દર્દીઓ હાલમાં દાખલ છે તેમની તપાસ કરીને તેમની સારવાર કરવા માટે ડૉક્ટરની ટીમ ત્યાં પહોંચી છે. તેમજ દર્દીઓની તપાસ કરીને કેટલા દર્દીઓને ખરેખર એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફીની જરૂર હતી તેની તપાસ કરવામાં આવશે. હોસ્પિટલમાંથી રેકોર્ડ મેળવીને યુ. એન. મહેતા હોસ્પિટલના તજજ્ઞો તેમજ સોલા સિવિલ હોસ્પિટલના તજજ્ઞો સમગ્ર મામલે તપાસ કરશે. આ તમામ ચકાસણી PMJAYની ટીમના નેતૃત્વ હેઠળ તપાસ કરીને રિપોર્ટ કમિશનરને સોંપવામાં આવશે.
વધુમાં ગાંધીએ જણાવ્યું કે, ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડી ખાતે જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ક્યાંય પણ PMJAYની મંજૂરી લીધેલ નથી અને અમે આ પ્રકારની મંજૂરી આપતા પણ નથી. હોસ્પિટલ દ્વારા PMJAY કાર્ડ ધરાવતા દર્દીઓનો કેમ્પ કરતા હોય છે અને તેમને જણાવતા હોય છે કે તમારે એકપણ રૂપિયાનો ખર્ચો થશે નહીં એટલે તમને લાવવા લઈ-જવા સાથે મફતમાં સારવાર કરી આપવામાં આવશે.
PMJAYના પૈસા પડાવવાનું કૌભાંડ!
ડૉ. ગાંધીએ વધુમાં જણાવ્યું કે, જેટલા પણ દર્દીઓને આ યોજના હેઠળ સમાવેશ કરીને પૈસા પડાવવાનું કૌભાંડ કરવામાં આવ્યું છે જેને લઈને તમામ પેમેન્ટ હાલમાં રોકી દેવામાં આવ્યા છે. પ્રાથમિક દૃષ્ટિએ લાગી રહ્યું છે કે, યોજનાના નામે પૈસા પડાવવાનું કૌભાંડ છે. અગાઉ આ યોજના હેઠળ છેતરપિંડી કરતી હોસ્પિટલના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. આ અંગે તપાસ કમિટીનો જે રિપોર્ટ આવશે તેને લઈને કમિશનરની અધ્યક્ષતામા નિર્ણય કરવામાં આવશે.
ભૂતકાળમાં આવા ડૉક્ટરો સામે કાર્યવાહી કરેલ છે. જેઓ આ યોજના હેઠળની પેનલમાં ના જોડાઈ શકે અને બીજે પણ પ્રેક્ટિસ ના કરી શકે તે માટે સસ્પેન્સન સુધીના પગલા પણ લેવામાં આવ્યા છે. તેમજ આગામી સમયમાં અમે એક સર્ક્યુલર જાહેર કરીને આ યોજના હેઠળ કોઈ કેમ્પના થાય તે માટે પગલા લઈશું. જેથી કરીને આવા બનાવો ફરી ના બને.









