કડીના બોરીસણા ગામમાં હેલ્થ કેમ્પ બાદ દર્દીઓને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં લાવી પરિવાજનોની જાણબહાર જ 19 એન્જિયોગ્રાફી, 7 એન્જિયોપ્લાસ્ટી કરી નાખતા 2 દર્દીના મોત અને 7 લોકો હાલ ICUમાં દાખલ છે.


[[$googlead]]

ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર પર અનેક નેતાના આશીર્વાદ હોય તેમ લાગી રહ્યું છે. ડિરેક્ટર સંજય પટોલિયા સાથેના ફોટા આરોગ્ય મંત્રી તેમજ અનેક ભાજપના નેતા સાથે જોવા મળી રહ્યા છે. જેને લઈને શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે શું ભાજપના નેતાના આશીર્વાદ હતા એટલે જ બીજી વાર કૌભાંડ કરવાની હિંમત આવી છે. આ યોજના હેઠળ ઓપરેશન કરવા હોય તો ઓનલાઈન મંજૂરી લેવાની હોય છે જેને આવતા ઘણો સમય લાગે છે. તેમ છતાં એક જ દિવસમાં ઓપરેશન કરી દેવામાં આવ્યા છે. જે જોતાં લાગી રહ્યું છે કે ખ્યાતિ હોસ્પિટલ પર ઋષિકેશ પટેલના આશીર્વાદ હોય. હોસ્પિટલના સત્તાધીશોમાં આટલી હિંમત કેવી રીતે આવી એની સામે પ્રશ્નાર્થ છે.


[[$alsoread]]

બે વર્ષ પહેલા આ રીતે જ કૌભાંડ કરવામાં આવ્યું હતું

અમદાવાદના એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલની વધુ એક ભૂલ છતી થઈ છે. અગાઉ પણ ખ્યાતિ હોસ્પિટલે માસુમોના ભોગ લીધા છે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આ કૌભાંડ બીજીવાર કરવામાં આવ્યું છે. વર્ષ 2022 માં પણ આવું જ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. સાણંદના તેલાવ ગામમાં કેમ્પ યોજી લોકોને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. ત્રણ દર્દીઓને હોસ્પિટલમાં લાવી સ્ટેન્ટ મુક્તા દર્દીનું મોત થયું હતું. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ કરી હતી. ત્યારે ફરી એક વખત ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આવુ જ કૌભાંડ આચરાયું છે.

ખ્યાતિ હોસ્પિટલે પહોંચેલા નીતિન પટેલ પણ શંકા વ્યક્ત કરી

ખ્યાતિ હોસ્પિટલ પહોંચેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, બે દિવસ પહેલાં મને માહિતી મળી હતી કે કડીના બોરીસણા ગામમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા મફત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામમાં પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતાં. જરૂરિયાતમંદ આ કેમ્પમાં ગયા હતાં. આ હોસ્પિટલ દ્વારા અમુક દર્દીઓને પસંદ કરીને તેઓને મા યોજનાનું કાર્ડ અને આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ તૈયાર રાખજો અને આવતી કાલે તમને અમારી હોસ્પિટલમાંથી બસ મોકલી તમને અમદાવાદ હોસ્પિટલ લઈ જઈશું, તેવું જણાવ્યું હતું.

ગઈકાલે 19થી 20 દર્દીઓને અહીં હોસ્પિટલ લાવવામાં આવ્યા હતાં અને મોટાભાગના દર્દીઓને સીધા હૃદય રોગના દર્દીઓ ગણીને એમની એન્જીયોગ્રાફી કરવામાં આવી. કેટલાંકની એન્જિયોપ્લાસ્ટી પણ કરી દેવામાં આવી હતી. આ પ્રકારની સારવાર માટે હોસ્પિટલે પહેલા પરમિશન લેવાની હોય છે અને ઓનલાઈન મંજૂરી લેવામાં પણ સમય લાગતો હોય છે. પહેલી નજરે જોતા લાગે છે કે, જરૂરીયાત વગરના બિનજરૂરી ઓપરેશન કરવામાં આવ્યા છે. આ પ્રકારના કેસમાં નિષ્ણાંત ડોક્ટરોનો અભિપ્રાય લેવો જોઈએ.

ખ્યાતિ હોસ્પિટલે આર્થિક લાભ માટે આ કાંડ કર્યો હોવા અંગે તેઓએ જણાવ્યું કે, સારી, પ્રતિષ્ઠિત, સેવાભાવી હોસ્પિટલો પણ ગુજરાતમાં છે, જેમાં દર્દીઓ સારી સારવાર મેળવે છે. તો કેટલીક આંગળીના વેઢે ગણાઈ તેવી ધંધાદારી હોસ્પિટલો પણ ગુજરાતમાં છે.

  • Follow us on: