રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લોકોને સતત મળતો રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન છેલ્લા નવ વર્ષથી કરવામાં આવી રહ્યું છે. વર્ષ ૨૦૨૪માં સેવા સેતુના દસમાં તબક્કા અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં ૧૭ સપ્ટેમ્બરથી સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત થઈ હતી જે અંતર્ગત ૧૫ ઓકટોબરના રોજ બનાસકાંઠા જિલ્લાના ૧૪ તાલુકાઓના કુલ ૪૦૫ ગામનો ત્રીજા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.
આવતીકાલે યોજાશે કાર્યક્રમ
સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં ૧૫ ઓકટોબરના રોજ ભાભર તાલુકાના ગોસણ ખાતે ૧૩ ગામનો સેવા સેતુ કાર્યક્રમ, સૂઇગામ તાલુકાના ગરાબડી ખાતે ૧૫ ગામનો સેવા સેતુ કાર્યક્રમ, ધાનેરા (ગ્રામ્ય)ના હડતા ખાતે ૨૪ ગામનો સેવા સેતુ કાર્યક્રમ, દાંતીવાડા તાલુકાના સાતસણ ખાતે ૧૭ ગામનો, ડીસા તાલુકાના ઝેરડા ખાતે ૪૩ ગામનો, કાંકરેજ તાલુકાના રતનગઢ ખાતે ૨૩ ગામનો, વાવ તાલુકાના મીઠા વીરાણા ખાતે ૨૭ ગામનો, થરાદ તાલુકાના ડેલ ખાતે ૩૩ ગામનો, દિયોદર તાલુકાના કોટડા (ફો) ખાતે ૨૦ ગામનો, વડગામ તાલુકાના પસવાદળ ખાતે ૨૮ ગામનો, લાખણી તાલુકાના ગેળા ખાતે ૧૭ ગામનો, દાંતા તાલુકાના જીતપુર ખાતે ૭૪ ગામનો, અમીરગઢ તાલુકાના ઢોલિયા ખાતે ૨૪ ગામનો અને પાલનપુર (ગ્રામ્ય)ના સુરજપુરા ખાતે ૪૭ ગામના સમાવેશ સાથે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.
વહીવટી તંત્ર તરફથી અપીલ
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના પ્રજાજનોને વ્યક્તિગત સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે અને તે જ દિવસે પ્રાપ્ત થઇ શકે તેવા ઉમદા હેતુથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલ દ્વારા રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો લોકોને સ્થળ ઉપર જ મળી રહે તે માટે સઘન આયોજન કરવા વિવિધ તાલુકાના પ્રાંત અધિકારીશ્રીઓની નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે સાથે જિલ્લાના નાગરિકોને સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા વહીવટી તંત્ર તરફથી અપીલ કરાઈ છે.