રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે ગાંધીનગર ખાતે ગુજરાતના તમામ ચેમ્બર ઓફ કોમર્સ તેમજ ઔદ્યોગિક સંગઠનો સાથે મળેલી બેઠક દરમિયાન રાજ્યના ઔદ્યોગિક વપરાશ માટે ઉપયોગમાં લેવાતા પાણીના દરમાં વર્ષે 10 ટકાનો વધારો થતો હતો, તે હવે ઘટાડીને ત્રણ ટકા કરવાની જાહેરાત કરી હતી.
ઉદ્યોગમંત્રીએ ઉદ્યોગ-ધંધાને લગતા વિવિધ પ્રશ્નોને સાંભળ્યા
ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે રાજ્યમાં ઉદ્યોગ-ધંધાને વેપારમાં પડતી મુશ્કેલીઓને સાંભળી તેનું નિરાકરણ લાવવાના હેતુથી ઉપરોકત મિટીંગ બોલાવી હતી. જેમાં તેમણે ઉદ્યોગ-ધંધાને લગતા વિવિધ પ્રશ્નોને સાંભળ્યા હતા. દરમિયાન ચાલુ મિટીંગમાં જાહેરાત કરી હતી કે ગુજરાતમાં ઔદ્યોગિક વપરાશ માટે ઉપયોગમાં લેવાતા પાણીના દરમાં દર વર્ષે 10 ટકાનો વધારો કરવામાં આવતો હતો, જેને હવે ઘટાડીને 3 ટકા કરાયો છે.
નવા સીઈટીપી ચાલુ કરવા માટે રજૂઆત
ચેમ્બરના ઉપ પ્રમુખ નિખિલ મદ્રાસીએ ઉદ્યોગ મંત્રી સમક્ષ રજૂઆત કરી હતી કે રાજ્ય સરકાર દ્વારા સૂચિત ઊંચા જંત્રી દરના કારણે દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારને અસર પડી શકે તેમ હોવાથી તેને રેશનલાઈઝ કરવામાં આવે. એસએમઈ અને એમએસએમઈ રજિસ્ટ્રેશન માટે સિંગલ વીન્ડો સિસ્ટમ અથવા તેના માટે નોડલ ઓફ્સિર હોવા જોઈએ. સુરતમાં ઘણા વિસ્તારમાં સીઈટીપીની ક્ષમતા પૂર્ણ થઈ ગઈ હોવાને કારણે આવા વિસ્તારોમાં ઔદ્યોગિક એકમો સ્થપાતા ન હોવાથી નવા સીઈટીપી ચાલુ કરવા માટે રજૂઆત કરી હતી.
સરકાર સુરતમાં નવા સીઈટીપી પ્લાન્ટ સ્થાપિત કરશે
ચેમ્બર દ્વારા કરાયેલી રજૂઆતને લઈ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે એમએસએમઈ ફેસીલિટેશન કાઉન્સીલની મિટીંગ સંદર્ભે જણાવ્યું હતું કે રાજ્યમાં સુરત સહિત 6 બેન્ચ શરૂ થઈ છે અને આ પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવામાં આવશે. જીઆઈડીસીના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર ડો. રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સુરતમાં નવા સીઈટીપી પ્લાન્ટ સ્થાપિત કરવા જઇ રહી છે અને તેના ટેન્ડર પણ બહાર પડી ગયું છે.