23 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત નીપજ્યા હતા. ત્રણેય ગુજરાતીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત લવાયા છે. જેમાં સુરતમાં મૃતક શૈલેષભાઈ કળથીયાની અંતિમયાત્રા નીકળતા શોકનો માહોલ છવાયો છે.આ અંતિમયાત્રામાં રાજકીય નેતાઓ પણ હાજર રહ્યાં હતા.
સુરતમાં આતંકી હુમલામાં મૃતકની નીકળી અંતિમયાત્રા
આતંકી હુમલામાં સુરતના મૃતકના અંતિમ સંસ્કાર કઠોર-અબ્રામા સ્મશાન ગૃહમાં કરવામાં આવશે,જેમાં સુરતના નિવાસ સ્થાનેથી શૈલેષ કળથીયાની અંતિમ યાત્રા નીકળી છે જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા,કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ,વિનુ મોરડીયા, કુમાર કાનાણીએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
આતંકી હુમલામાં મોતને લઈ મૃતકની પત્નીની આપવીતી
આ સમગ્ર ઘટનામાં મૃતકના પત્નીની આપવીતી સામે આવી હતી જેમાં તેમનું કહેવું છે કે,જ્યાં સુધી જીવ નહીં ગયો ત્યાં સુધી ગોળી મારી હતી અને આતંકી જીવ ના ગયો ત્યાં સુધી ઉભો- ઉભો હસતો હતો અને ત્યાં એક પણ સુરક્ષા કર્મી ન હતા,ત્યાંની પોલીસે કહ્યું કેમ અહીંયા ફરવા આવો છો,તો ત્યાની પોલીસે કહ્યુ કે,ખામી કાશ્મીરમાં નથી અહીની સિસ્ટમ અને સિક્યુરિટીમાં છે,કાશ્મીરની મિલેટ્રી પણ મારા પતિનો જીવ બચાવી શકી નથી અને એમ્બ્યુલન્સ પણ પહોંચી ન હતી.
મોડી રાત્રે મૃતદેહ સુરત લવાયો હતો
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં સુરત શહેરના શૈલેષ કળથિયાની પણ ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. શૈલેષના મૃતદેહને મોડી રાત્રે એર ઈન્ડિયાની ખાસ ફ્લાઇટ દ્વારા સુરત એરપોર્ટ લાવવામાં આવ્યો હતો. કેન્દ્રીય જળ સંસાધન મંત્રી સીઆર પાટીલ, ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્યો અને અધિકારીઓએ શૈલેષના પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.









