- સુરત શહેર અને ગામડાની 39 મદરેસાઓ આવેલી છે
- 802 માંથી 69 બાળક સ્કૂલે નહીં જતા હોવાનું સામે આવ્યું
- જેમાં 69 બાળક ગુજરાત રાજ્ય બહારના હોવાનું સામે આવ્યું
ધર્મનું શિક્ષણ આપતી મદરેસાઓમાં વિદ્યાર્થીઓને શાળાકીય શિક્ષણ આપવામાં આવે છે કે કેમ તેની ઘનિષ્ઠ તપાસ સુરત જિલ્લામાં જોવા મળી હતી. મદરેસાની તપાસ દરમિયાન સુરતની કુલ 39 મદરેસાઓમાં તપાસ પૂર્ણ થઇ છે ત્યારે તેમાં મદરેસામાં મોટાભાગના બાળકો ઉત્તર પ્રદેશની સાથે સાથે બિહારના હોવાનું સામે આવ્યું છે.છેલ્લા ત્રણ દિવસથી DEOની ટીમે સુરતની અલગ-અલગ મદરેસાઓમાં તપાસ હાથધરી છે.
ટીમ ગામડે ગામડે ફરી
છેલ્લા ત્રણેક દિવસથી ડીઇઓની ટીમ સુરત શહેર સાથે ગામડાની 39 મદરેસાઓમાં ફરી હતી,જેમાં સરવે દરમિયાન 802 બાળક ભણતા હોવાનું સામે આવ્યું છે.જે 802 બાળકના અભ્યાસની તપાસ કરતા 69 બાળક એવા મળ્યા હતા કે જે દરરોજ મદરેસામાં જાય છે પરંતુ સ્કૂલે જતા નથી.જેથી એ બાળકો સ્કૂલે કેમ જઈ રહ્યા નથી? તે મામલે ડીઇઓએ તપાસ હાથધરી હતી.69 બાળકો મૌલવી બનવા માટેનો અભ્યાસ કરવા માટે સુરત આવ્યા હોવાની શંકા છે,સુરતમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ અન્ય રાજયની મદરેસામાં વધારે અભ્યાસ માટે જનારા હોવાની વાત સામે આવી છે.
મદરેસામાં મસ્જિદ મળી
આ વિગતોમાં ખાસ કરીને મદરેસામાં નિભાવવામાં આવતા રજીસ્ટ્રારમાં માત્ર વિદ્યાર્થીનાં નામ જ લખવામાં આવ્યા છે. જેમાં વાલીનો સંપર્ક નંબર અને સરનામાનો ઉલ્લેખ કરાતો ન હોવાથી હવે વિદ્યાર્થીઓને શોધવા માટે શિક્ષણ વિભાગે કવાયત શરૂ કરવી પડી છે. તપાસ દરમિયાન મદરેસામાં મસ્જિદ પણ મળી આવી છે. આ ઉપરાંત ઘણી મદરેસા મસ્જિદ કાર્યરત હોવાથી તેને શોધવામાં પણ શિક્ષણ વિભાગની ટીમને સમસ્યા નડી રહી હોવાની ફરિયાદો સામે આવી રહી છે.
માત્ર વિદ્યાર્થીઓનાં ટૂંકા નામની નોંધ
જો કે તપાસ કમિટીએ ઉર્દુમાં નોંધવામાં આવેલી મહત્તમ વિગતોને પગલે હેરાન થયા હોવાનું જાણવા મળ્યું છે, જેમાં પણ ખાસ કરીને મદરેસામાં રજીસ્ટ્રર યોગ્ય રીતે જળવાતુ ન હોઇ માત્ર અને માત્ર વિદ્યાર્થીઓનાં ટૂંકા નામ લખવામાં આવતા હોવાથી તેમના વાલીનો સંપર્ક નંબર, તેમજ તેમની યોગ્ય રીતે ઓળખ કઈ રીતે કરવી તે પ્રશ્ન પેચીદો બન્યો છે.
ઉર્દુ ભાષાના જાણકારોની મદદ લેવામાં આવશે
મદરેસામાં કરવામાં આવી રહેલી તપાસમાં વિદ્યાર્થીઓની શાળાકીય નોંધણી નંબર અને મદરેસામાંથી મળી આવેલી વિગતોનાં ક્રોસ વેરીફેકશન કરવામાં આવશે. ઉર્દુ ભાષા હોવાના કારણે ઉર્દુ ભાષાના જાણકારોની મદદ લેવામાં આવશે.









