સુરત શહેરમાં આવેલા સરથાણા વિસ્તારમાં સ્કૂલ બસની અડફેટે બે વર્ષની માસૂમ બાળકીનું મોત થયું હતું. માતા-પિતા આઠ માસથી લંડનમાં રહેતા હોવાથી મૃતક બાળકી પોતાના દાદા સાથે રહેતી હતી. અકસ્માતમાં બાળકીના મોતથી પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.


પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ જૂનાગઢ જિલ્લામાં આવેલા કેશોદના વતની અને હાલમાં શહેરમાં સરથાણા વિસ્તારમાં શ્યામધામ મંદિર પાછળ આવેલી શિવધારા સ્કાયલાઈટ બિલ્ડિંગમાં રહેતા સાગરભાઈ સાવલિયાને સંતાનમાં બે વર્ષની માસૂમ દીકરી મિસરી અને આઠ વર્ષની ધ્રીયા નામની એમ બે દીકરી છે. બંને દીકરીના માતા-પિતા છેલ્લા આઠ માસથી રોજી-રોટી માટે લંડનમાં સ્થાયી થયા છે. એટલે બંને બહેનો હાલમાં દાદા જતીનભાઈ સાથે રહે છે.

આઠ વર્ષીય પોત્રી ધ્રીયા યુરો સ્કૂલમાં અભ્યાસ કરે છે. રાબેતા મુજબ આજે સવારે દાદા જતીનભાઈ પોત્રી મિસરીને લઈને ધ્રીયાને સ્કૂલ બસમાં મૂકવા માટે શિવધારા સ્કાયલાઈટ બિલ્ડીંગ નીચે ગેટ પાસે ઊભા હતા. દાદા ધ્રીયાને સ્કૂલ બસમાં ચઢાવતા હતાં, તે દરમિયાન બે વર્ષની માસૂમ મિસરી દોડતી દોડતી બસની આગળ આવીને ઊભી રહી ગઈ હતી. બદનસીબે સ્કૂલ બસના ડ્રાઈવરનું ધ્યાન નહીં જતા બાળકી અડફેટે ચડી હતી. બસ નીચે કચડાયેલી માસૂમ મિસરીને ગંભીર હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં બાળકીનું ટુંકી સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માત બાદ સ્કૂલ બસ ચાલક ફરાર થઆ ગયો હતો. અકસ્માત અંગે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બસ ડ્રાઈવર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

  • Follow us on: