સુરેન્દ્રનગર શહેરની સીંધી સોસાયટીમાં રહેતો યુવાન હાલ રાજકોટમાં રહી ખાનગી નોકરી કરતો હતો. મિત્રનો જન્મ દિવસ હોઈ તા. 13મીના રોજ તે સુરેન્દ્રનગર આવ્યો હતો. ત્યારે રાતના સમયે ઉમિયા-3 સોસાયટી પાસે આવેલ કોમ્પ્લેક્ષના ધાબે પાર્ટી દરમિયાન એક યુવાન સાથે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં બે યુવાનો સાળા-બનેવીએ નીચે ધક્કો મારી દેતા મોત થયુ હતુ. બનાવની શહેરના બી ડીવીઝન પોલીસ મથકે સાળા-બનેવી સામે ફરિયાદ નોંધાઈ છે. બન્ને આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ક્રાઈમની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. જોરાવરનગરના ચોકમાં વેપારીની છાતીમાં ગોળી ધરબી દઈ હત્યાનો બનાવ, થાનમાં ટ્રીપલ મર્ડરના બનાવ હજુ તાજા જ છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં વધુ એક બનાવ સામે આવ્યો છે. આ અંગે બી ડીવીઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ મુળ સુરેન્દ્રનગરની સીંધી સોસાયટીમાં રહેતો 34 વર્ષીય ચંદનભાઈ જગદીશભાઈ પરમાર હાલ રાજકોટ રહે છે. અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તા. 13ના રોજ તેના મિત્ર સુરેન્દ્રનગર રહેતા હીતેશ મકવાણાનો જન્મ દિવસ હોઈ તે સુરેન્દ્રનગર આવ્યો હતો. અને રાતના સમયે વઢવાણના નવા 80 ફુટ રોડ પર આવેલ ઉમીયા-3 સોસાયટીના ગેટ પાસે ર માળના કોમ્પલેક્ષના ધાબે તેઓ પાર્ટી કરતા હતા. આ સમયે નવજીવન સોસાયટીમાં રહેતો વિશાલ વીરજીભાઈ સોલંકી અને તેનો સાળો પાર્થ વાઘેલા પણ હાજર હતા. પાર્ટીના સમય દરમીયાન વિશાલ અને ચંદનને બોલાચાલી થઈ હતી. જેમાં વિશાલ અને પાર્થે ચંદન સાથે ઝપાઝપી કરી હતી. અને કોમ્પલેક્ષના ધાબા ઉપરથી નીચે ધક્કો મારી દેતા યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. બનાવની જાણ થતા આસપાસ લોકો ઉમટી પડયા હતા. જયારે બી ડીવીઝન પીએસઆઈ એસ.એમ.શેખ સહિતનાઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને મૃતકની લાશને પીએમ માટે ગાંધી હોસ્પીટલ લઈ જવાઈ હતી. આ બનાવમાં મૃતક ચંદનના પિતા જગદીશભાઈ સોમાભાઈ પરમારની ફરિયાદને આધારે બન્ને સાળા-બનેવી સામે હત્યાનો ગુનો નોંધાયો છે. આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.










