લખતરના તાવી ગામે ખાનગી કંપનીનો સોલાર પ્રોજેકટ આવેલો છે. આ પ્રોજેકટ અંતર્ગત લાઈનના કામ માટે ખેડૂતોના ખેતરમાં પોલ નાંખવા કોઈપણ જાતની નોટીસ કે વળતર વગર શનીવારે સવારે પોલીસ પ્રોટેકશન સાથે કામ શરૂ કરવામાં આવતા ખેડૂતો વિફર્યા હતા. જેમાં એક ખેડૂતે પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરતા દોડધામ મચી હતી. પોલીસે ખેડૂતને સારવાર માટે લીંબડી હોસ્પિટલ મોકલી અન્ય 7 ખેડૂતોને ડિટેઈન કર્યા હતા.


તાવી ગામે સીમમાં અવાડા સોલાર કંપનીનું કામ ચાલી રહ્યુ છે. જેમાં ખેડુતોની કોઈપણ જાતની પરવાનગી લીધા વગર મુખ્ય લાઈન બનાવવાનું કામ કંપની દ્વારા કરવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. ખેડૂતોના જણાવાયા મુજબ અમારા ખેતરમાં કામ કરતા પહેલા અમોને નોટીસ આપવી જોઈએ, વળતર આપવુ જોઈએ. પરંતુ આમ ન કરી કંપની દ્વારા ખેડૂતોના ઉભા પાક પર ગત ગુરૂવારે બુલડોઝર ફેરવી દેવાયુ હતુ. જેના લીધે ખેડુતોના જીરૂ, વરિયાળી, એરંડા જેવા પાકોને નુકશાન થયુ હતુ. આથી રોષે ભરાયેલા ખેડૂતો અને સોલાર કંપનીના ઈજનેરો વચ્ચે બોલાચાલી જતા લખતર પોલીસની ટીમ દોડી ગઈ હતી અને પોલીસે સોલાર કંપનીનું કામ બંધ કરાવ્યુ હતુ. જયારે શનિવારે સવારે પોલીસ પ્રોટેકશન સાથે ફરી કામગીરી શરૂ કરાઈ હતી. જેથી ખેડૂતો એકઠા થયા હતા અને વિરોધ કર્યો હતો. આ સમયે સુ.નગર ડીવીઝનના ડીવાયએસપી વી.બી.જાડેજા સહિતનો પોલીસ કાફલો હાજર હતો. આ દરમીયાન ખેડૂત અનીરૂધ્ધસીંહ રાણા દ્વારા પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવતા પોલીસ બેડામાં દોડધામ મચી હતી. જેમાં અનીરૂધ્ધસીંહ રાણા રાણાને લીંબડી સરકારી દવાખાને લઈ જવાયા હતા. જયારે આ સમયે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દૃશ્યો પણ સર્જાયા હતા. જેમાં પોલીસે 7 ખેડૂતોને સ્થળ પરથી ડિટેઈન કર્યા હતા અને પોલીસ મથક લઈ જવાયા હતા.

કંપનીની કામગીરી ટાણે ઘર્ષણ કરનાર કયા કયા ખેડૂતોને ડિટેઈન કરાયા

તાવીમાં સોલાર કંપનીના ખેતરમાં પોલ નાંખવાના કામ બાબતે ઘર્ષણ થતા પોલીસે તાવીના રામદેવસીંહ રાજેન્દ્રસીંહ રાણા, યોગીરાજસીંહ નાગભા રાણા, કરણસીંહ નવુભા રાણા, જયપાલસીંહ ગજુભા રાણા, વિશ્વજીતસીંહ કરણસીંહ રાણા, બલરામસીંહ વિક્રમસીંહ રાણા, શકિતસીંહ અશોકસીંહ રાણાને ડિટેઈન કર્યા હતા.

અમારા ખેતરની કિંમત ઘટી જવાનો ભય

આ અંગે ખેડૂતોએ રોષ સાથે વધુમાં જણાવ્યુ કે, અમુક ખેડૂતોના તો રોડ ટચ ખેતર આવેલા છે. ખેતરમાં સોલાર કંપની દ્વારા પોલ નાંખવાની કામગીરીથી અમારા ખેતરની કિંમતો ઘટી જવાની શકયતા રહેલી છે. જો કોઈપણ જાતની પરમીશન વગર કંપનીને આવુ કામ દાદાગીરીથી કરવુ હોય તો તેના કરતા ખેતરો વેચાતા જ લઈ લેવા જોઈએ.


  • Follow us on: