આજરોજ જિલ્લા કલેક્ટર કે.સી.સંપટે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, રંભાબેન ટાઉન હોલ ખાતે પૂર્વ સૈનિકો તથા રાષ્ટ્ર માટે બલિદાન આપનાર સૈનિકોના ધર્મપત્નીઓ સાથે સંવાદ કર્યો હતો.આ સંવાદ કાર્યક્રમમાં સંબોધન કરતાં જિલ્લા કલેક્ટર કે.સી.સંપટે જણાવ્યું હતું કે, રાષ્‍ટ્રની રક્ષામાં પોતાના પ્રાણની આહુતિ આપવા હંમેશાં તત્‍પર શૂરવીર સૈનિકો પ્રત્‍યેનું ઋણ અદા કરવા નિયામક સૈનિક કલ્‍યાણ અને પુનર્વસવાટ, ગુજરાત રાજ્ય કાર્યરત છે.


સર્વોચ્‍ચ બલિદાન

રાષ્‍ટ્ર કાજે પોતાનું સર્વોચ્‍ચ બલિદાન આપનાર શહીદ સૈનિકોના પરિવારજનોની તથા વીરતા ભરી ફરજ બજાવતા શારીરિક ક્ષતિગ્રસ્‍ત થયેલા સૈનિકો અને રાષ્‍ટ્રની સશસ્‍ત્ર સેનાઓમાં પોતાની યુવાનીનું અમૂલ્‍ય યોગદાન આપી સેવા નિવૃત્ત થતા સૈનિકો તથા તેઓના પરિજનો માટેની કલ્‍યાણ અને પુનર્વસવાટ યોજનાઓના અમલીકરણની જવાબદારી નિયામક સૈનિક કલ્‍યાણ પુનર્વસવાટની છે.અન્ય જિલ્લાઓની સરખામણીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ પૂર્વ સૈનિકો છે.


સૌની સહિયારી ફરજ

એમ કહેતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, પહેલાં નિવૃત્ત થતા સૈનિકોને પેન્શન સહિતના પ્રશ્નો માટે રાજકોટ કચેરી ખાતે જવું પડતું હતું પરંતુ અત્યારે આપણા જિલ્લામાં જ કચેરી કાર્યરત થઈ ગઈ છે. જેથી સૈનિકો અને તેમના પરિવારજનોને અન્ય જગ્યાએ જવું પડતું નથી. આપણે સૌ લોકો આપણા ઘરે શાંતિથી સૂઈ શકીએ તે માટે સૈનિક સરહદ પર પોતાની ફરજ બજાવે છે. આથી આ સૈનિકો અને તેમના પરિવારજનોને સંભાળ રાખવી એ આપણા સૌની સહિયારી ફરજ છે.

ધર્મપત્નીઓ રહ્યાં હાજર

સંવાદ કાર્યક્રમ બાદ જિલ્લા કલેક્ટર કે.સી.સંપટે સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીની મુલાકાત કરી હતી. જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકાર કર્નલ વિશાલ શર્માએ કચેરી અને કામકાજ અંગેની માહિતી આપી હતી. આ તકે કલેક્ટર કે.સી.સંપટે પૂર્વ સૈનિકો તથા સ્વ સૈનિકોના ધર્મ પત્નીઓનું સાલ આપી સન્માન કર્યું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકાર શ્રી કર્નલ વિશાલ શર્મા, ચીફ ઓફિસર સાગર રાડીયા અને પૂર્વ સૈનિકો તથા બલિદાની સૈનિકોના ધર્મ પત્નીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

  • Follow us on: