રાજય સરકારે તાજેતરમાં સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુકત નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કરી છે. ત્યારે નગર સેવા સદનમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના બોર્ડ લાગતા વઢવાણવાસીઓમાં રોષ ફેલાયો છે. અને મંગળવારે યોજાયેલી બેઠકમાં મનપાને વઢવાણ મહાનગરપાલિકા નામ આપવા એક સુર ઉઠયો છે.


જો આવુ ન થાય તો આંદોલનની રણનીતિ ઘડવામાં આવી છે.વઢવાણ એ સૌરાષ્ટ્રનો સૌથી જુનો ભુ-ભાગ છે. ઈતિહાસના ચોપડે અસ્થીગ્રામ, મીણપુર, વર્ધમાનપુરી અને બાદમાં અપભ્રંશ થઈ વઢવાણ નામ પડયુ છે. વઢવાણમાં ભગવાન મહાવીર સ્વામીના પગલા જૈન સમાજનું આસ્થા કેન્દ્ર છે. વઢવાણમાં હવામહેલ, ગંગાવાવ, સતી રાણકદેવીનું મંદિર સહિત અનેક ઐતીહાસીક સ્થળો આવેલા છે. ત્યારે નગરપાલિકામાં સુરેન્દ્રનગર મહાનગરપાલીકાનું બોર્ડ લાગતા વઢવાણ વાસીઓને વઢવાણની અસ્મીતા જોખમાઈ રહી હોય તેમ લાગી રહ્યુ છે. જેમાં વઢવાણ અસ્મિતા મંચના નેજા હેઠળ મંગળવારે સાંજે લાલજી મહારાજની જગ્યામાં બેઠક યોજાઈ હતી. જેમાં વતન પ્રેમીઓ રાજુદાન ગઢવી, સતીશ ગમારા, અશોક રામી, દશરથસીંહ અસવાર, પરેશભાઈ પરીખ, સ્મીતાબેન રાવલ સહિતનાઓ ઉપસ્થીત રહ્યા હતા. અને યશો ભુષણમ સર્વદા વર્ધમાનમ્ સુત્ર સાથે વઢવાણનું અસ્તીત્વ જળવાય રહે તે માટે ચર્ચા કરી હતી. જયારે મનપાને વઢવાણ મહાનગરપાલીકા નામ અપાય તેવી માંગણી કરાઈ છે. જો આવુ ન થાય તો રેલી, ધરણા, ઉપવાસ આંદોલન, વઢવાણ બંધ સહિતના તબક્કાવાર આંદોલનાત્મક કાર્યક્રમો કરવાની ચીમકી પણ અપાઈ છે.


  • Follow us on: