- કાળઝાળ ગરમીમાં આડેધડ વીજકાપના મુદ્દે શહેરીજનો વીફર્યા હતા
- વીજ ગ્રાહકોના કોલ રિસીવ ન કરનાર પર તંત્ર દ્વારા આખરે કાર્યવાહી
- પીજીવીસીએલ તંત્રના ડીંડવાણાથી લીંબડી નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા
લીંબડી શહેરમાં આડેધડ કલાકો સુધી વીજકાપ લગાવી પીજીવીસીએલના અધિકારી શહેરના નાગરિકોના કોલ રિસિવ ન કરતા લીંબડી શહેરમાં પીજીવીસીએલના ડીંડવાણાનો અહેવાલ ગત 8મી જુને સંદેશ દૈનિક અખબારમાં પ્રસિધ્ધ થયો હતો. જેના પગલે ઝોનલ ઓફ્સિ દ્વારા સમગ્ર મામલે તપાસ કરી જવાબદાર અધિકારીની તાત્કાલિક અસરથી બદલી કરી કાર્યવાહી હાથ ધરવામાં આવતા પીજીવીસીએલ તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં લીંબડી શહેરમાં ગમેત્યારે ફેલ્ટ રીપેરીંગના બહાને આડેધડ પાવર બંધ કરી કલાકો સુધી લાઇન બંધ કરી દેવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. આ સંદર્ભે જ્યારે જ્યારે શહેરના આગેવાનો અને કાર્યકરો પીજીવી સીએલમાં ફેન કરે તો કોઈ જ જવાબ ન મળતા હતો. છેલ્લા એક મહિનાથી પીજીવીસીએલ તંત્રના ડીંડવાણાથી લીંબડી નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. તેમજ આંદોલન હાથ ધરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. લીંબડી શહેરના નગરજની સમસ્યાને વાચા આપતો અહેવાલ સંદેશ દૈનિક અખબારમાં પ્રસિદ્ધ થતા પીજીવીસીએલની ઉચ્ચ કચેરી અને અધિકારીઓ હરકતમાં આવ્યા હતા. તપાસ દરમિયાન આ ડીંડવાણાના જવાબદાર અને શહેરીજનોના કોલ રિસિવ નહીં કરનાર નાયબ ઇજનેર આર. એસ. પરમારની ઝોનલ ઓફિસ દ્વારા તાત્કાલિક અસરથી લીંબડી કચેરી ખાતેથી જામનગર જિલ્લામાં બદલી કરવામાં આવી છે.










