સુરેન્દ્રનગરના સાયલાની મામલતદાર કચેરીમાં ગંભીર બેદરકારી સામે આવી છે. નાગરીકોના મહત્વના કાગળ અને દસ્તાવેજો રઝળતા હોવાનો એક જાગૃત નાગરીકે વીડિયો ઉતારીને વાયરલ કર્યો છે. લોકોના ઓળખ કાર્ડ અને સ્ટેમ્પના લખાણો કચેરીની લૉબીમાં રઝળતા હોવાનું વીડિયોમાં કેદ થયુ છે. આ કાગળો કોઈ લઈ જાય કે તેનો દુરૂપયોગ થાય તો તેની જવાબદારી કોની એવા અનેક સવાલો ઉભા થયાં છે.
અનેક લોકો પોતાના કામ અર્થે કચેરીમાં આવતા હોય છે
સાયલા મામલતદાર કચેરીની લૉબીમાં લોકોના મહત્વના દસ્તાવેજો, સ્ટેમ્પ અને ઓળખપત્રો રઝળતા હોવાનો એક જાગૃત નાગરીકે વીડિયો ઉતારીને વાયરલ કર્યો છે.કચેરીની લોબીમાં કાગળોના પોટલા જેમ તેમ હાલતમા જોવા મળ્યાં છે. અનેક લોકો પોતાના કામ અર્થે કચેરીમાં આવતા હોય છે. આ પ્રકારે લોકના કાગળો રઝળતા પડ્યા હોવાથી તેનો દુરૂપયોગ થઈ શકે છે. આ કાગળો કોઈ લઈ જાય કે તેનો ગેરકાયદે ઉપયોગ કરશે તો તેની જવાબદારી કોની તે અંગે અનેક સવાલો ઉભા થયાં છે.
આ બચકાનું ધ્યાન રાખવા વાળુ પણ કોઈ નથી
મામલતદાર કચેરીમાં સ્થાનિક જાગૃત નાગરીકે ઉતારેલા વીડિયોમાં જોવા મળે છે કે, મોટાભાગના મહત્વના કાગળો એક બચકામાં બાંધવામાં આવ્યાં છે અને તેને ઢગલો કરીને લૉબીમાં છુટા છવાયા મુકી દેવાયા છે. આ બચકાનું ધ્યાન રાખવા વાળુ પણ કોઈ નથી. કયા કારણે આ પ્રકારે બચકા મુકવામાં આવ્યા તેનો પણ કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. જો એક કચેરીમાં જ આ પ્રકારની બેદરકારી સામે આવે તો જવાબદાર કોણ અને તે કાગળોનો ગેરકાયદેસર રીતે ઉપયોગ થશે તો તેની જવાબદારી કોણ લેશે એવા સવાલો હાલમાં ચર્ચાઈ રહ્યાં છે.









