સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડીકલ કોલેજ પાછળ રહેતા પરેશ અરજણભાઈ ગુર્જર સેડલા ગામે પ્રા. શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ગત તા.27મી ઓગસ્ટે તેમના ઘરે મહેમાન આવેલા હતા.
અને સોમનાથ પાર્કમાં રહેતા તેમના સાળા હર્ષદ પ્રભુભાઈ સદાદીયાના ઘરે જમવાનું હતુ. આથી તેઓ ઘરને લોક કરીને સાંજના ત્યાં ગયા હતા. મોડી રાતે તેઓ ઘરે આવતા ઘરનુ તાળુ તુટેલુ હતુ અને ઘરમાં જઈ તપાસ કરતા કબાટમાંથી ઘરેણા અને રોકડા સહિત 8,81,000ની મત્તા ચોરાઈ હતી. બનાવની એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ દરમિયાન એ ડીવીઝન પીઆઈ આર.એમ.સંગાડાના માર્ગદર્શનથી પેટ્રોલિંગ કરી રહેલા અજયવીરસીંહ, અશ્વીનભાઈ સહિતનાઓને આ ચોરીને અંજામ આપનાર શખ્સ ઘરેણા વેચવાની ફીરાકમાં હોવાનું તથા તે નર્મદા કેનાલ પાસેથી પસાર થવાનો હોવાની બાતમી મળી હતી. આથી મુકેશ ઉત્તેળીયા, મહાવીરસીંહ બારડ, મનસુખભાઈ સહિતનાઓએ વોચ રાખી હતી. જેમાં પસાર થતા મુળ દુધરેજના વહાણવટીનગરમાં રહેતો અને હાલ રાજકોટના રૂખડીયા ફાટક પાસે આવેલ મફતીયાપરામાં રહેતા રાકેશ પેથાભાઈ સરવૈયાને અટકાવી પુછપરછ કરતા તેણે ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આ શખ્સ પાસેથી રૂ.8.01 લાખના સોનાના ઘરેણા અને રોકડ કબજે કરાઈ હતી.










