સુરેન્દ્રનગર જિલ્લામાં દિવસે દિવસે ખેતીવાડી વિભાગની ઘોર બેદરકારી સામે આવતી જાય છે. ત્યારે મૂળીમાં વાવેતર કર્યા વગર શહાય જમા થયાનું અને ત્યાર બાદ લીંબડીમાં મોટી કઠેચીના પાક નુકશાની વાળા ખેડૂતોના નાણાં કોઈ ત્રાહિત વ્યક્તિના બેંક ખાતામાં જમા થયાની સહિતની મોટાપાયે ઘોર બેદરકારી સામે આવતા સુરેન્દ્રનગર કલેકટર દ્વારા તપાસના આદેશ આપી જવાબદારો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં જયારે જયારે અતિવૃષ્ટિમાં ખેડૂતોના પાકને નુકશાન થાય ત્યારે ખેડૂતોને જ ખેતીવાડી વિભાગની બેદરકારી અને મિલીભગતનો ભોગ બનવું પડે છે. આ વર્ષે ચોમાસામાં જિલ્લાભરના મોટાભાગના ખેડૂતોને વરસાદથી પાકને ભારે નુકશાન થયું હતું. જે મામલે સર્વે કરી વળતર ચૂકવવાની ખાતરી અપાઈ હતી. પરંતુ ખેતીવાડી વિભાગે આડેધડ અમુકનો જ સર્વે કર્યો અસંખ્ય ખેડૂતોના ખેતરો સર્વે કર્યા વગરના જ રહી ગયા સર્વે બાદ વળતર મળ્યું તો અનેકને સાવ મામુલી વળતર મળ્યું. તો તેની સાથે સાથે અનેક ખેડૂતોને મળ્યું જ નથી. આ બાબતોમાં તંત્રની બેદરકારી તો દેખાતી જ હતી. ત્યાં મૂળીના ખેડૂતની જમીન માત્ર કાગળ ઉપર જ હતી. કબજો મળ્યો નથી એટલે વાવેતર તો કર્યું જ નહોતું પરંતુ 7-12 ના આધારે ફેર્મ ભરતા બેંક ખાતામાં પાક નુકસાનની સહાય જમા થઈ. બોલો તંત્રની કેટલી બેદરકારી કહેવાય. હજી આનાથી વાત ના અટકી લીંબડી તાલુકાના મોટી કઠેચીના ખેડૂતોની સહાય પોતાના ખાતાના બદલે અજાણ્યા વ્યક્તિના ખાતામાં જમા થયાનું સામે આવતા ખેતીવાડી વિભાગની મોટાપાયે ગેરરીતિ અને ઘોર બેદરકારી સામે આવતા જિલ્લા કલેકટર લાલઘુમ થયા હતા. આ ગંભીર બાબતના તપાસના આદેશ આપી જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.










