મુંબઈના સાયનમાં રહેતા વિરેનભાઈ ભરતભાઈ શાહ મસાલાની લે-વેચનો ધંધો કરે છે. વર્ષ 2022માં તેઓને જીરૂ ખરીદવુ હોય બનાસકાંઠાના થરાદ એપીએમસીમાં આવેલ અલગ-અલગ પેઢીઓમાંથી જીરાની ખરીદી કરી હતી.
તા. 12-12-22ના રોજ 364 બોરી જીરૂ કિંમત રૂપિયા 46,47,323ની કિંમતનું જય સીયારામ ટ્રાન્સપોર્ટ મુંદ્રાના માલિક સાથે વાત કરી તેમની ટ્રકમાં ડ્રાઈવર ભુરા રણછોડભાઈ ઢીલા સાથે કચ્છમાં મોકલ્યુ હતુ. પરંતુ આ જીરૂ કચ્છ પહોંચ્યુ ન હતુ. અને બારોબાર સગેવગે થઈ ગયુ હતુ. આ બનાવમાં રૂપિયા 46,47,323ની છેતરપિંડીની થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં બાદ આરોપી તરીકે લીંબડીના યાસીન ઉર્ફે ભાણો રાજુભાઈ મકવાણાનું નામ ખુલ્યુ હતુ. આ શખ્સ છેલ્લા બે વર્ષથી પોલીસ ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો. ત્યારે પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી પેટ્રોલિંગ કરી રહેલ પેરોલ ફર્લો સ્કોડના જયપાલસીંહને આ શખ્સ લીંબડીના આઝાદ ચોકમાં હોવાની બાતમી મળી હતી. આથી સ્ટાફના પીએસઆઈ આર. એચ. ઝાલા, અસલમખાન, ધવલભાઈ સહિતનાઓએ લીંબડીના આઝાદ ચોકમાં વોચ રાખી બે વર્ષથી ફરાર આરોપી યાસીન ઉર્ફે ભાણો રાજુભાઈ મકવાણાને ઝડપી લીધો હતો. આ શખ્સની ધરપકડ કર્યાની જાણ થરાદ પોલીસને કરી આરોપી તેઓને સોંપવામાં આવ્યો છે.










