વડોદરાથી હાપા તરફ ઈંધણ ભરવા માલવાહક ટ્રેન જતી હતી. ત્યારે મંગળવારે રાતના લગભગ 10-30 કલાક આસપાસ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનના વિરમગામ તરફના પ્લેટફોર્મના છેડા પાસે અચાનક માલગાડીના બે ટેન્કર એકબીજાથી અલગ થઈને રેલવે ટ્રેક પરથી ઉતરી ગયા હતા. બનાવની જાણ ટ્રેનના એન્જીન ડ્રાઈવર અને ગાર્ડે કરતા રેલવેના અધીકારીઓ, આરપીએફના આઈપીએફ શર્મા, પીએસઆઈ સુમેરા, જીઆરપી પીએસઆઈ સી. પી. બાવળીયા, હરપાલસીંહ વાઘેલા સહિતનાઓ દોડી ગયા હતા. ટ્રેન રેલવે સ્ટેશનના 7મા ટ્રેક પરથી પસાર થતી હોય ટેન્કર ટ્રેક પરથી ઉતરી જવાથી અન્ય કોઈ પેસેન્જર ટ્રેનના સમયમાં ફેરફાર થયો ન હતો. બીજી તરફ આ બનાવમાં કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહત અનુભવી હતી. અને ટ્રેન સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને પ્રવેશ કરી રહી હોવાથી તેની સ્પીડ પણ ઓછી હતી. જો વધુ સ્પીડ હોત તો વધુ ટેન્કર પાટા પરથી ઉતરી ગયા હોત અને પલટી પણ મારી ગયા હોત. મોડી રાત્રે જ રાજકોટ રેલ ડીવીઝનમાંથી ક્રેન સાથેની ટ્રેન આવી હતી. અને સૌપ્રથમ બન્ને ટેન્કરને અલગ કરીને તેને ટ્રેક પરથી ઉતારી લઈ ટ્રેનના અન્ય કોચને એકત્ર કરી ટ્રેનને હાપા બાજુ રવાના કરાઈ હતી. રેલવેના આધારભુત સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ટેકનીકલ કારણોસર આ ગુડ્ઝ ટ્રેનના બે ટેન્કર ટ્રેક પરથી ઉતરી ગયા હતા.



  • Follow us on: