સુરેન્દ્રનગર શહેરમાં ખાસ કોઈ ફરવા લાયક સ્થળો નથી. શહેરની મધ્યમાં એકમાત્ર ટાગોર બાગ આવેલો છે. પરંતુ હાલ બગીચામાં પણ ગંદકી અને તુટેલી રાઈડસ હોવાથી શહેરીજનો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ત્યારે પાલીકા દ્વારા આ અંગે ધ્યાન આપીને તુરંત કાર્યવાહી કરવા લોકમાંગ ઉઠી છે.


સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલ એકમાત્ર ટાગોર બાગમાં સુવીધાનો અભાવ જોવા મળી રહ્યો છે. કોરોના સમયે ગુજરાત ટુરીઝમ દ્વારા બગીચાના વિકાસ માટે રૂ. 3 કરોડની ફાળવણી કરાઈ હતી. પરંતુ આ કામ કરનાર એજન્સીએ કામ અધવચ્ચે જ મુકી દીધુ છે. આથી પાલીકા દ્વારા પણ એનઓસી અપાઈ ન હોવાનું જાણવા મળે છે. પરંતુ સરકારી આ પળોજણમાં સુરેન્દ્રનગર વાસીઓને યોગ્ય સુવીધા મળતી નથી. સુરેન્દ્રનગરના ટાગોરબાગને બ્યુટીફીકેશનની તાતી જરૂરિયાત છે. હાલ બગીચામાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે. ઝાડના પાંદડાના ઢગલાઓ બગીચામાં હોય છે. જયારે બગીચામાં હીંચકા, લપસીયા જેવી રાઈડસ અને બેસવાના બાકડા પણ તુટી ગયા છે. અમુક રાઈડસોમાં તો બાળકોને ઈજા પહોંચે તેવુ નજરે પડે છે. ટાગોર બાગની નજીક સુરેન્દ્રનગર ડિસ્ટ્રીકટ કોર્ટ, નગરપાલિકા, કલેકટર કચેરી, જિલ્લા પંચાયત, જિલ્લા પોલીસ વડાની કચેરી, સુરેન્દ્રનગર સબ જેલ આવેલી છે. ત્યારે અહીં આવતા અરજદારો પોતાનો સમય બગીચામાં પસાર કરે છે. અને કોઈ વાર તો સાથે લાવેલ ભોજન પણ બગીચામાં બેસીને લે છે. ત્યારે બગીચાની આવી હાલતથી લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. આ અંગે સીનીયર સીટીઝન કે.એન.રાજદેવ અને ઘનશ્યામભાઈ પરમારે જણાવ્યુ કે, પાલીકા ટેકસ લે છે તો યોગ્ય સુવીધા પણ આપવી જોઈએ. મહાનગરપાલીકા બનવા જઈ રહેલ સુરેન્દ્રનગર-વઢવાણ પાલીકામાં બગીચાની હાલત ખરેખર બદતર છે. અમદાવાદ, ભાવનગર, રાજકોટ જેવી મહાનગરપાલીકામાં આવેલ બગીચા જેવા બગીચા સુરેન્દ્રનગરમાં બનવા જોઈએ.

બગીચામાં પ્રેમી પંખીડાઓથી મહિલાઓ અને બાળકો ક્ષોભજનક સ્થિતિ અનુભવે છે

સુરેન્દ્રનગરના ટાગોર બાગ છેલ્લા ઘણા સમયથી પ્રેમી પંખીડાઓનું મિલન સ્થળ બની ગયુ છે. બગીચાના ઉંડાણવાળા વિસ્તારમાં બાંકડા પર, ઝાડની ઓથે પ્રેમી પંખીડાઓ બેઠેલા નજરે પડે છે. આથી કોઈ વાર વડીલો સાથે બગીચામાં લટાર મારવા જતા બાળકો ક્ષોભજનક સ્થિતિ અનુભવે છે. આ ઉપરાંત મહિલાઓને પણ શરમજનક સ્થિતિમાં મુકાવુ પડે છે.

આગામી સામાન્ય સભામાં ઠરાવ કરીને કાર્યવાહી કરાશે : CO

સુરેન્દ્રનગર પાલિકાના ચીફ ઓફસર સાગર રાડીયાએ જણાવ્યુ કે, બગીચામાં નિયમીત સફાઈ થાય છે અને લાઈટો પણ નવી નંખાઈ છે. જયારે તુટેલી રાઈડસ બાબતે આગામી સામાન્ય સભામાં ઠરાવ કરીને રાઈડસ નવી નાંખવાની કાર્યવાહી કરાશે. જયારે બગીચાના તળાવમાં નર્મદાના નીર ઠાલવવા પણ આગામી દિવસોમાં પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.


  • Follow us on: