- હવે, ધ્રાંગધ્રા પંથકમાંથી કેસ માટે સુરેન્દ્રનગર લાંબું નહીં થવું પડે
- હાલના સમયમાં પતિ-પત્ની વચ્ચે નાની નાની બાબતોએ મનદુઃખ સર્જાય છે.
- તાલુકા મથકોએ પણ ફેમીલી કોર્ટ શરૂ કરવાનું આયોજન કરાયુ છે
- વર્ષ 2020થી ભરણપોષણની માંગ કરવાના કેસમાં બંને તરફના વકીલોના પ્રયાસોથી સુખદ સમાધાન
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે તા. 7મી જુને ફેમીલી કોર્ટની શરૂઆત કરાઈ છે. ફેમીલી કોર્ટના ઉદ્દઘાટનના પ્રથમ દિવસે અને પ્રથમ કેસમાં જ બન્ને પક્ષના વકીલોના પ્રયાસથી સુખદ સમાધાન થયુ છે. જેમાં વર્ષ 2020થી ભરણપોષણની માંગ કરતી પરિણીતાએ પતિ સાથે સમાધાન કર્યુ હતુ. ફેમીલી કોર્ટના ઉદ્દઘાટન સમયે ન્યાયાધીશ, વકીલો મોટીસંખ્યામાં ઉપસ્થિત
રહ્યા હતા.
હાલના સમયમાં પતિ-પત્ની વચ્ચે નાની નાની બાબતોએ મનદુઃખ સર્જાય છે. જેના લીધે પોલીસ મથકે આવી અરજીઓનો ધોધ વહે છે. જયારે ફેમીલી કોર્ટમાં પણ કેસોનો ભરાવો થઈ જાય છે. બન્ને પક્ષો વચ્ચે સમાધાન ન થતા કોર્ટમા લાંબા સમય સુધી કેસ ચાલે છે. ત્યારે તાલુકા મથકોએ પણ ફેમીલી કોર્ટ શરૂ કરવાનું આયોજન કરાયુ છે. જેમાં ધ્રાંગધ્રા કોર્ટ કેમ્પસમાં તા. 7મી જુનને શુક્રવારે ફેમીલી કોર્ટનું ઉદ્દઘાટન કરાયુ હતુ. આ તકે પ્રીન્સીપાલ ફેમીલી જજ ડી.પી.ગોહીલ, એડીશનલ સેશન્સ જજ મુકેશ ચૌધરી, એડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ જે.બી.પરીખ સહિત વકિલો, સ્ટાફ, પોલીસ કર્મીઓ ઉપસ્થીત રહ્યા હતા. કોર્ટની શરૂઆત સુખદ સમાધાન સાથે થતા કેમ્પસમાં આનંદની લાગણી ફેલાઈ છે. આ અંગે મળતી માહીતી મુજબ વર્ષ 2020થી એક પરિણીતા અને તેના પતિને મનમેળ ન આવતા પત્ની પિતૃગૃહે હતી અને પતિ સામે ભરણપોષણની અરજી કરી હતી. ધ્રાંગધ્રા કોર્ટના ઉદ્દઘાટન બાદ આ કેસ પ્રથમ કેસ તરીકે જજ ડી.પી.ગોહિલ સમક્ષ મુકાયો હતો. જેમાં અરજદારના વકીલ ડી.ડી.ચાવડા અને સામાપક્ષના વકીલ તલસાણીયાના પ્રયાસોથી પતિ-પત્ની વચ્ચે સુખદ સમાધાન થયુ હતુ. ધ્રાંગધ્રામાં ફેમીલી કોર્ટ શરૂ થતા હવે ધ્રાંગધ્રા પંથકના લોકોને ફેમીલી ડીસ્પ્યુટ માટે સુરેન્દ્રનગર લાંબુ થવુ પડશે નહી અને તેઓનો સમય તથા નાણાંનો વ્યય થતો અટકશે. ધ્રાંગધ્રાની ફેમીલી કોર્ટમાં દર શુક્રવારે સુરેન્દ્રનગર ફેમીલી કોર્ટના જજ ડી.પી.ગોહિલ કેસોને ચલાવશે.