- ગુજરાત ATS અને અમદાવાદ NIAની ટીમ પૂછપરછ કરવા દિલ્હી પહોંચી
- અક્ષરધામ હુમલાનો મુખ્ય સૂત્રધાર પાકિસ્તાનથી દોરીસંચાર કરતો હતો
- ત્રણેયે આતંકીઓએ ગુજરાતમાં મોટા નેતાઓના રૂટની રેકી કરી હતી
દિલ્હી પોલીસે NIAના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી શાહનવાઝ ઉર્ફે શફી ઉઝામા સહિત ત્રણ જણાની ધરપકડ કરીને પૂછપરછ કરતા ચોંકાવનારી કબૂલાત કરી હતી કે, ગુજરાતના અનેક મોટા શહેરોની રેકી કરી હતી. આ ઉપરાંત અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, સુરતમાં મોટા નેતાઓના રૂટની રેકી કરી હતી. આતંકવાદીઓ દ્વારા કાવતરાનું સૌથી ચિંતાજનક પાસું તેનું ધ્યાન ગુજરાત પર હતું, જ્યાં ગુજરાતના અનેક શહેરો આ આતંકવાદીઓના પકડમાં હતા. ધરપકડ કરાયેલા આતંકવાદીઓમાંના એક શાહનવાઝને અમદાવાદ, વડોદરા, સુરત અને ગાંધીનગર સહિતના ગુજરાતના મુખ્ય શહેરી કેન્દ્રોમાં IED વિસ્ફોટનું આયોજન કરવાનું કામ સોંપવામાં આવ્યું હોવાની કબૂલાત કરી હોવાનું જાણવા મળે છે.
આતંકવાદી શાહનવાઝે ગુજરાતના ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર હુમલા પાછળના મુખ્ય સૂત્રધાર ફ્રતુલ્લાહ ઘોરી સાથે સંપર્ક રહીને ગુજરાત સહિતના રાજયોમાં કેવી રીતે આતંકવાદી પ્રવૃત્તિનો અંજામ આપવો તેનો દોરી સંચાર કરતો હોવાનું બહાર આવ્યું છે. બીજી તરફ ગુજરાત એટીએસ અને અમદાવાદ એનઆઈએની ટીમ પણ ત્રણેય આતંકવાદીઓની પૂછપરછ કરવા દિલ્હી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. દિલ્હી પોલીસની તપાસમાં ખુલ્યું હતું કે, આતંકી શાહનવાઝ IS મોડયુલ એટલે કે ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલો છે અને ઉત્તર ભારતમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપવાની યોજના બનાવી રહ્યો હતો. આતંકી શાહનવાઝએ રેકી કરી અને ઘણા દિવસો પશ્ચિમ ભારત, દક્ષિણ ભારત અને ઉત્તર ભારતમાં વિતાવ્યા. કેટલાંક અઠવાડિયાં સુધી જંગલોમાં રહીને બોમ્બ બ્લાસ્ટની ટ્રાયલ હાથ ધરી હતી. ISના આતંકીઓની પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે કે તેમના નિશાને ગુજરાતમાં અક્ષરધામ અને અયોધ્યા સહિત હિંદુ ધાર્મિક સ્થાનો હતા. સુરક્ષા એજન્સીઓની તપાસમાં અક્ષરધામ બ્લાસ્ટ કેસના માસ્ટર માઇન્ડ ફ્રતુલ્લાહ ઘોરીની સંડોવણીનો પર્દાફાશ થયો છે. જેના ઈશારે ગુજરાત, મુંબઈ સહિતના રાજયોમાં કેવી રીતે હુમલા કરવા તેનો દોરીસંચાર મેળવતા હતા.
