- ભુજમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રાષ્ટ્રીય કાર્યકારિણીનો ધમધમાટ
- બપોરે 11.20થી 1.40 કલાક બેઠક બાદ ગાંધીનગર પરત ફરશે
- બેઠકને લઈ તમામ સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
ભુજમાં આર.એસ.એસ.ની તા.પાંચથી સાત દરમિયાન ત્રિદિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીના આયોજનનો ધમધમાટ ચાલી રહ્યો છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આવતીકાલ શુક્રવારનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોરે 11.20 કલાકે ભુજ આવી પહોંચશે અને અને તેઓ સંઘના વડા મોહન ભાગવત સહિતના અગ્રણીઓ સાથે બેઠકમાં કચ્છના સરહદિય ગામોની સ્થિતિ તેમજ અન્ય કેટલાક મહત્ત્વના મુદ્દે ચર્ચા કર્યા બાદ 1.40 કલાકે ગાંધીનગર જવા પરત રવાના થશે.
ભુજની આર.ડી.વરસાણી હાઈસ્કૂલ ખાતે સંઘની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકનો ધમમાટ વર્તાઈ રહ્યો છે. આ બેઠકમાં આર.એસ.એસ.ના વડા સરસંઘસંચાલક મોહન ભાગવત, સરકાર્યવાહ દત્તાત્રેય હોંસબોલે, સર સહકાર્યવાહ અરૂણકુમાર, ભૈયાજી જોશી, સુનીલ આંબેકરજી સહિતના સંઘના અગ્રણીઓ સહિત દેશના તમામ 44 પ્રાંતમાંથી સંઘના 400 જેટલા ક્ષેત્રીય આગેવાનો ભુજ આવી પહોંચ્યા છે. ભુજની આર.ડી.વરસાણી હાઈસ્કૂલ ખાતે આજે 15000 જેટલા સ્વયંસેવકોને અરુણકુમારજી સંબોધન કર્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલ ભુજ ખાતે આવીને સંઘના વડા મોહન ભાગવત સહિતના આગેવાનો સાથે બેઠક કરીને રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં હાજરી આપશે. મુખ્યમંત્રી અને સંઘના વડાની બેઠક સૂચક માનવામાં આવી રહી છે. સંઘના વડાઓની ભુજ ખાતેની બેઠકને લઈ તમામ સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.










