બનાસકાંઠામાં જિલ્લા વિભાજનનો વિવાદ વધુ વકર્યો. 'નથી જવું.. નથી જવું.. વાવ થરાદ નથી જવું..' ના સૂત્રોચ્ચાર સાથે ધાનેરાના ગામેગામ વિરોધના સૂર ઉઠયા. જિલ્લા વિભાજનને લઈને કાલે ધાનેરામાં જન આક્રોશ મહાસભા યોજાશે. ધાનેરા ઉપરાંત ડેઢા અને એડાલમાં વિભાજનનો વિરોધ થઈ રહ્યો છે.
વિભાજનનું વિરોધ પ્રદર્શન
બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન કરી વાવ થરાદ જિલ્લાની રચના થતા કાંકરેજ દિયોદર અને ધાનેરામાં વિરોધ ચાલી રહ્યો છે. વાવ-થરાદ જિલ્લાની રચના થતાં લોકો રોષે ભરાતા ઘણા સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જિલ્લા વિભાજન વિવાદને લઈને મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે બેઠક પણ યોજાઈ હતી. જિલ્લાના વિભાજનને લઈને વિરોધ કરતાં આગેવાનોને ગાંધીનગરનું તેડું આવતા આ મુદ્દાએ રાજ્યભરમાં હોબાળો મચાવ્યો છે. બે દિવસ પહેલાં ધાનેરાના સ્થાનિકોએ અમદાવાદની કલેક્ટર ઓફિસ આવેદનપત્ર આપ્યું હતું. તેમજ 21 જાન્યુઆરીના રોજ ધાનેરામાં મહારેલીની ઘોષણાની ચીમકી પણ ઉચ્ચારી.
ધાનેરામાં મહારેલી
ધાનેરાના સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે. કારણ કે જિલ્લાનું વિભાજન થતાં સ્થાનિકોને મેડિકલ સુવિધા તેમજ શિક્ષણને લઈને સમસ્યાનો સામનો કરવો પડશે. જો કે આ મામલે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે વર્ષો જૂની માંગને મંજૂર કરવામાં આવી છે. કારણે પશ્ચિમ વિસ્તારના લોકો દ્વારા અનેક વખત તેમની સમસ્યાને લઈને વિભાજનની રજૂઆત કરવામાં આવી હતી. જો કે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જિલ્લા વિભાજનની કામગીરીને વખોડી હતી. અમિત ચાવડાએ કહ્યું કે સામાજિક તેમજ રાજકીય સ્તરે કોઈની પણ સાથે ચર્ચા કર્યા વગર આ નિર્ણય લેવાયો હોવાનો તંત્ર પર આક્ષેપ કર્યો.હાલમાં ધાનેરાના તમામ ગામડાઓ એક સૂર સાથે વિભાજનનો વિરોધ કરી રહ્યા છે. આવતીકાલે ધાનેરામાં મહારેલીના રાજ્યભરમાં પડઘા પડી શકે છે.









