સ્વામિનારાયણ સંપ્રદાયના મહા મુક્તરાજ દાદા ખાચર એટલે શ્રીજી મહારાજને સમર્પિત જીવનનું સર્વોચ્ચ શિખર. તેમના પ્રેમ, ભક્તિ અને સમર્પણને વશ થઈ ગોદોહન જેટલો સમય પણ ક્યાંય ન રોકાનાર ભગવાન સ્વામિનારાયણ ગઢડાને પોતાનું ઘર માનીને આજીવન દાદા ખાચરનાં દરબારમાં બિરાજમાન થયા હતા. દાદા ખાચર એટલે સેવા, સમર્પણ અને ત્યાગનું મૂર્તિમંત સ્વરૂપ. શ્રીજી મહારાજના અત્યંત લાડીલા દાદા ખાચરના લગ્નમાં સ્વયમ સ્વામિનારાયણ રથના સારથી બની દાદા ખાચરને પરણાવવા ભટ્ટવદર પધાર્યા હતા.
ઈતિહાસના પુનરાવર્તને આધ્યાત્મિક પરંપરાને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો
સમગ્ર સંપ્રદાયમાં પ્રચલિત આ લગ્ન પ્રસંગ દિવસ સવંત 1881 મહા સુદ-10ને 200 વર્ષ સંપન્ન થાય છે. 200 વર્ષ બાદ આ સાંપ્રદાયિક દિવ્ય પ્રસંગની તિથીએ દાદા ખાચર પરિવારના આઠમી પેઢીએ પુત્રના લગ્ન યોજી, લાલજી મહારાજ તથા અનેક સંતોએ જાન જોડી ઈતિહાસના પુનરાવર્તનની આધ્યાત્મિક પરંપરાને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ગઢડામાં દાદા ખાચર વંશજ પરિવારના આઠમી પેઢીએ મહાવીરભાઈ ભાભલુભાઈ ખાચરના પુત્ર ધર્મદીપભાઈના લગ્ન પ્રચલિત લાખા બાપુની જગ્યા સોનગઢ (થાન) મહંતના દીકરીબા સાથે યોજવામાં આવ્યા હતા.
લાલજી મહારાજે રથના સારથી બની સાંપ્રદાયિક ઈતિહાસને જીવંત બનાવ્યો
આ પ્રસંગે હાથી, ઘોડા, ઉંટ સવારી સહિત રજવાડી ફૂલેકુ અને સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સંતોની ઉપસ્થિતિમાં લગ્ન માટે જાન જોડી ઈતિહાસ જીવંત બન્યો હતો. તેમજ સ્વામિનારાયણ ભગવાનના ઉતરાધિકારી નૃગેન્દ્ર પ્રસાદજી (લાલજી મહારાજે) રથના સારથી બની સાંપ્રદાયિક ઈતિહાસને જીવંત બનાવ્યો હતો.