- વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે
- દીવ, ગીર સોમનાથ જવાનો માર્ગ કમરતોડ બની ગયો
- અકસ્માતો માર્ગ પર સર્જાવાની ગંભીર દહેશતો સર્જાઈ
અમરેલી જિલ્લામાં અવિરત વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. જેમાં ઠેર ઠેર ખાડા રાજ નિર્માણ પામ્યું હોય તેમ શહેરમાં કે ગ્રામીણ માર્ગમાં મગરની પીઠ જેવો ખરબચડો માર્ગ થઈ જતા વાહનચાલકો પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે. ત્યારે ખાંભા, ઊના, દીવ, ગીર સોમનાથ જવાનો માર્ગ કમરતોડ બની ગયો છે.
દીવ, ગીર સોમનાથ જવાના મુખ્ય માર્ગ પર ખાડારાજ સર્જાયુ
અમરેલી જિલ્લાના સાવરકુંડલાથી ખાંભા, ઊના, દીવ, ગીર સોમનાથ જવાના મુખ્ય માર્ગ પર ખાડારાજ સર્જાયુ છે. સાવરકુંડલાના ખાંભા ટી પોઇન્ટ રસ્તા પરથી આ માર્ગ મગરની પીઠ સમાન ખરબચડો બની ગયો છે અને પત્થરો સ્ટેટ હાઇવે પરથી બહાર આવી ગયા છે. તથા ડામર જેવું નામ નિશાન આ માર્ગ પરથી નીકળી ગયું હોય તેવો અતિ બિસ્માર માર્ગ બની ગયો છે. વાહન ચાલકો પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે. જ્યારે વરસાદ હોય ત્યારે આવા માર્ગ પર પાણીના ખાબોચિયાં ભર્યા હોવાથી ટુ-વ્હીલ વાહનો અકસ્માતે ખાબકી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યુ છે.
વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે
હલકી ગુણવત્તાનો બનેલો માર્ગ ચોમાસાના પ્રારંભે જ ઉબડ ખાબડ બની જતા બાજુમાં ઘજડી, સાકરપરા, અભરામ પરા, મીતીયાળા જવાનો માર્ગ પણ સ્ટેટ હાઇવે સમાન વાહન ચાલકો તોબા પોકારી ઉઠે તેવો થઈ જતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ચોમાસાના પ્રારંભે ખાંભા, ઊના, દીવ કે સોમનાથ જિલ્લામાં જવાનો સ્ટેટ હાઇવેનો મુખ્ય માર્ગ ખરબચડો બની જતા તંત્રની પોલખુલી જવા પામી છે. અને તંત્ર આવી કમરતોડ રસ્તાની મરામત વહેલી તકે નહિ કરે તો અનેક અકસ્માતો આ માર્ગ પર સર્જાવાની ગંભીર દહેશતો સર્જાઈ છે.









