અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી દરમ્યાન વસ્ત્રાપુર વિસ્તારમાં ગોઝારી ઘટના બની. વસ્ત્રાપુરમાં મોહિની ટાવરમાંથી NRI વૃદ્ધાની લાશ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો. કરમસદ ગામના રહેવાસી અને હાલ કેનેડા સ્થાઈ થયેલ મૃતક કનૈયાલાલ ભાવસાર બે દિવસ પૂર્વે અમદાવાદ આવ્યા હતા, તેમના પત્ની દ્વારા તેમને કોલ કરવામાં આવ્યો પરંતુ સામે પક્ષેથી કોલ રીસીવ ન થતા જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. વૃદ્ધાની મળી આવેલ લાશના કિસ્સામાં પોલીસ તપાસ હાથ ધરતાં CCTVએ ઘટનાનો પર્દાફાશ કર્યો. ઘટનાસ્થળની તપાસ કરતાં CCTVમાં સમગ્ર ઘટના કેદ થઈ. અને વૃદ્ધાની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું.
મસાજ કરનાર યુવતીએ કર્યો વિશ્વાસઘાત
મોહિની ટાવરમાં NRI વૃદ્ધ દંપતી કેનેડાથી અવારનવાર અમદાવાદ આવતા હોય છે. આ વખતે ઉત્તરાયણ તહેવારમાં શહેરમાં જ્યારે ઉજવણી ચાલતી હતી ત્યારે એક NRI વૃદ્ધાને વિશ્વાસ કરવાનું મોંઘુ પડ્યું. કેનેડાથી અમદાવાદ આવેલ NRI વૃદ્ધા અનેક વખત પોતાના ઘરે જ મસાજ કરાવતા હોય છે અને આ માટે તે બહારથી કોઈ યુવતીને બોલાવતા હોય છે. જો કે આ વખતે NRI વૃદ્ધાને અજાણી યુવતીને ઘરમાં પ્રવેશ આપવાનું ભારે પડ્યું. યુવતીએ મસાજ દરમ્યાન વૃદ્ધાનો વિશ્વાસ કેળવી સમગ્ર સ્થિતિનો તાગ મેળવી લીધો.
સીસીટીવીને આધારે સમગ્ર ઘટના સામે આવી
યુવતીએ NRI વૃદ્ધા વધુ સારી સ્થિતિમાં લાગતા વધુ પૈસાની લાલચમાં તેના પતિ સાથે વૃદ્ધાના ઘરમાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો. યુવતી અને તેનો પતિ વૃદ્ધાના ઘરમાં ચોરીના ઇરાદે ઘૂસ્યા. ચોરી અને લૂંટના ઇરાદા સાથે ઘરમાં ઘૂસ્યા બાદ પરંતુ વૃદ્ધાને ખબર પડતા જ મોતને ઘાટ ઉતારવાનો પ્લાન કર્યો અને હત્યાને અંજામ આપ્યો.હત્યા કર્યા બાદ મસાજ કરનાર યુવતી અને તેનો પતિ બહાર નીકળી ગયા હતા. જો કે મોહિની ટાવરમાંથી NRI વૃદ્ધાની લાશ મળ્યા બાદ પોલીસ તપાસમાં સીસીટીવીને આધારે સમગ્ર ઘટના સામે આવી.
ગળું દબાવી કરી હત્યા
આમ સમગ્ર ઘટનામાં પોલીસે ગુનો નોંધીને બંને આરોપીની પૂછપરછ હાથ ધરી છે. આરોપીનું નામ આનંદ ઠાકોર અને નીલોફર ઉર્ફે હિના અકબર અલી શેખ છે. આરોપીઓ દ્વારા વૃદ્ધાનું ગળું દબાવી લૂંટ અને ચોરી કરવામાં આવી હતી. સમાજમાં એકલા રહેતા વૃદ્ધોની હત્યાના કિસ્સા અવારનવાર સામે આવવા લાગ્યા છે. પોલીસ દ્વારા એકલા રહેતા સીનીયર સીટીઝનની સુરક્ષાને લઈને કેટલાક પગલાં લેવામાં આવ્યા છે છતાં પણ વૃદ્ધો અન્યો પર સરળતાથી વિશ્વાસ મૂકતા વિશ્વાસઘાત બાદ હત્યાના શિકાર થઈ રહ્યા છે.
પોલીસની અપીલ
જો તમારા ઘરમાં પણ કોઈ અજાણ્યા વ્યક્તિને પ્રવેશ આપવામાં આવે છે, તો ચેતી જજો કારણ કે તે અન્યો પરનો વિશ્વાસ ક્યારેક ઘાતક બની શકે છે. વારંવાર આ પ્રકારે કોઈ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ રાખીને ઘરમાં પ્રવેશ ન આપવા માટે પોલીસે પણ લોકોને જાગૃત રહેવા અપીલ કરવામાં આવે છે.









