• શહેરમાં રોકાણ દરમિયાન બૌદ્ધિક સંવાદ ના ભાગરૂપે બુદ્ધિજીવીઓ સાથે કરશે વિચાર વિમર્શ
  • રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતનુ રેલ માર્ગે થયું આગમન
  • છાયાપૂરી રેલવે સ્ટેશન ખાતે વહેલી સવારે થયું આગમન

ગુજરાત લોકસભાની ચૂંટણી પહેલા જ RSS તરફથી તેની પૂર્વ તૈયારીઓ લગભગ છેલ્લા એક વર્ષથી આરંભી દેવાઇ હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંચાલક અને વડા મોહન ભાગવત ચૂંટણી પહેલાં સતત આંતરિક બેઠકો કરીને ચૂંટણી પહેલાનો માહોલ બનાવી રહ્યા હતા. હાલ ઉમેદવારોને લઇને ભાજપમાં નારાજગી ચાલી રહી છે અને આજે ક્ષત્રિય સમાજની વધુ એક બેઠક યોજાઈ શકે છે. ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંચાલક અને વડા મોહન ભાગવત આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ભરૂચ, વડોદરા અને અમદાવાદ શહેરમાં વિવિધ સમાજના નાગરિકોની બેઠકમાં ભાગ લેશે.

વિરોધ થશે શાંત ?

જે પ્રકારે પહેલા વડોદરા, સાબરકાંઠા, જૂનાગઢ અને હવે રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવારોને લઇને વિરોધના વંટોળો જોવાયા છે. તેને લઇને મોહન ભાગવતની આ વિઝિટ હોવાનુ મનાઇ રહ્યુ છે. નાગરિકો સાથે બેઠક કરીને તેઓ જનતાની નાડ પારખવાની કોશિષ કરશે. વડોદરા અને ભરૂચ મતક્ષેત્રમાં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થાય તેના પહેલા આરએસએસ ચીફ મોહન ભાગવતના કાર્યક્રમો નક્કી થયા છે.

શું હશે કાર્યક્રમ

RSSના ગુજરાત એકમે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ મોહન ભાગવત આજે વડોદરા આવી ગયા છે ત્યાંથી બપોરે ભરૂચમાં પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક યોજશે. ત્યાર બાદ રવિવારે સવારે નર્મદાકાંઠે ગરૂડેશ્વર સ્થિત દત્ત મંદિરે દર્શન કરીને વડોદરામાં પણ ગોષ્ઠિ કરશે. એ દિવસ સાંજે તેઓ અમદાવાદમાં હેડગેવાર ભવનમાં રોકાણ કરશે. જ્યાં ભાજપના પદાધિકારી કે સંઘના આગેવાનો સાથે બેઠકનું આયોજન પણ કરવામા આવ્યુ છે.આગામી શુક્રવારે લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ થશે. ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થશે તે પૂર્વે મોહન ભાગવતની આ ત્રણ દિવસીય મુલાકાત ઘણી મહત્વની મનાઇ રહી છે.


  • Follow us on: